આહવા તાલુકાના શામગહાન ગામે પ્રગતિશીલ ખેડુત દ્વારા પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજી કૃષિના પાંચ આયામો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું

હિન્દ ન્યુઝ, આહવા 

     ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ શામગહાન ગામે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતીના વ્યાપ અને પ્રચાર-પ્રસાર અર્થે એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના પ્રગતિશીલ ખેડૂતોને રાસાયણિક ખેતીના દુષ્પરિણામો સમજાવી, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. તાલીમ દરમિયાન પ્રગતિશીલ ખેડુત યશંવતભાઇ સહારે દ્વારા પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતો અને તેના પાંચ મુખ્ય આયામો જેવા કે બીજામૃત, જીવામૃત, આચ્છાદન, વાપ્સા અને જીવાત નિયંત્રણ વિશે સવિસ્તાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

વધુમાં ખેડૂતોને જમીનની ફળદ્રુપતા જાળવવા, ખેતી ખર્ચ ઘટાડવા અને ઝેરમુક્ત ખેતી દ્વારા લોકોના સ્વાસ્થ્યની રક્ષા કરવા અંગે પણ જાગૃત કરવામાં આવ્યા હતા. આ તાલીમ શિબિરમાં મોટી સંખ્યામાં હાજર રહેલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓને પ્રત્યક્ષ રીતે સમજીને પોતાના ખેતરમાં તેનો અમલ કરવાનો ઉત્સાહ દર્શાવ્યો હતો. આ આયોજન દ્વારા ગ્રામ્ય સ્તરે ટકાઉ ખેતી અને પર્યાવરણની જાળવણીનો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો.

Related posts

Leave a Comment