ધંધા-રોજગાર-ઔદ્યોગિક એકમોના નોકરીયાતો-કામદારોને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અનુક્રમે તા.૦૧ ડિસેમ્બર અને તા.૦૫ ડિસેમ્બરના રોજ બે તબક્કામાં યોજાનાર છે. જેમાં કામદારો/નોકરીયાતો સહિત કોઈપણ ધંધાર્થી મતદાન કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે.

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું છે કે, મતાધિકાર ધરાવતી કોઈપણ વ્યક્તિ, કોઈપણ ધંધા- રોજગાર, ઔદ્યોગિક એકમો કે અન્ય કોઈપણ સંસ્થામાં નોકરી કરતાં હોય તો તેમને મતદાનના દિવસે સવેતન રજા આપવાની જોગવાઈ છે. રોજમદાર તરીકે કામ કરતાં કર્મચારી-કામદારોના કિસ્સામાં પણ જો તેની ફરજ પર હોય અને જે મહેનતાણું-પગાર મેળવતાં હોય તે મહેનતાણું-પગાર મતદાનના દિવસે મતદાન કરવાની રજા બદલ માલિક-નોકરીદાતાએ ચૂકવવાનું રહેશે.

વર્ષ 1951ના લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં વર્ષ 1996ના લોકપ્રતિનિધિત્વ (સુધારા) અધિનિયમથી દાખલ કરવામાં આવેલ કલમ-135(બી) અનુસાર ધંધા-રોજગાર ઔદ્યોગિક એકમ કચેરી અને અન્ય સંસ્થાઓના માલિકોને અનુરોધ કરવામાં આવે છે કે, તેમના કામદાર/કર્મચારીઓને બે તબક્કામાં એટલે કે અનુક્રમે તા. ૦૧ ડિસેમ્બર અને તા. ૦૫ ડિસેમ્બરના રોજ જે તે મતવિભાગોમાં જ્યાં ચૂંટણી યોજાનાર છે તેવા વિધાનસભા મતવિભાગોમાં સમાવિષ્ટ વિસ્તારમાં મતદાનના દિવસે ચૂંટણીમાં મતદાન કરવાના હેતુસર રજા આપવાની રહેશે.

આ ઉપરાંત, નોંધાયેલ મતદાર જે વિભાગમાં વસવાટ કરતો હોય પરંતુ જો સામાન્ય કે પેટા-ચૂંટણી હોય તેવા મતવિભાગની બહારના વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમ કે સંસ્થામાં નોકરી કરતો હોય તેવો મતદાર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ-135(બી)(1) અન્વયે સવેતન રજાનો હક્કદાર રહેશે. આ જોગવાઈનું ઉલ્લંઘન કરનાર માલિક-નોકરીદાતા દંડ-શિક્ષાને પાત્ર રહેશે, તેમ પણ મુખ્ય નિર્વાચન અધિકારીએ વધુમાં જણાવ્યું છે.

Related posts

Leave a Comment