હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર તાલુકાના ધુંવાવ સ્થિત એસ.બી.આઈ. ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI) ખાતે તારીખ 23 જાન્યુઆરી 2026 ના રોજ એક ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. એસ.બી.આઈ. તરફથી પ્રાપ્ત થયેલ રૂ. 1.28 કરોડના CSR ફંડ દ્વારા નવનિર્મિત ટ્રેનિંગ સેન્ટરની કમ્પાઉન્ડ વોલ, બિલ્ડીંગ બેઝ તથા એપ્રોચ રોડનું ઉદ્ઘાટન જામનગર કલેક્ટર કેતન ઠક્કરના હસ્તે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર બાલાજીકુમાર સિંઘસામંતાની ગરિમામય ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું.
મહિલા સશક્તિકરણને વેગ આપતા આ કાર્યક્રમમાં ૧૮ સખીમંડળના બહેનોને ‘લખપતિ દીદી’ તરીકે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા, તેમજ ૧૦ સખીમંડળના બહેનોને કુલ રૂ. 33 લાખના ચેકનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરાયું હતું. સંસ્થાના સફળ તાલીમાર્થીઓ જશુબેન ખરા, ભટ્ટી અનિતાબા, નકુમ પ્રિયંકા, ચોખલિયા મંજુબેન અને નાગસ પૂરીબેન જેવા ઉદ્યમી બહેનો દ્વારા પ્રદર્શન સ્ટોલ રાખવામાં આવ્યા હતા, જેની મહેમાનોએ રૂબરૂ મુલાકાત લઈ બહેનોના કૌશલ્યને બિરદાવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના તમામ લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજર, DRDA ના DLM નવીનકુમાર સિંહ, તમામ તાલુકાના TLM, APM, CC સ્ટાફ તથા ધુંવાવ ગામના અગ્રણીઓ અને તાલીમાર્થીઓ સહિત આશરે ૩૦૦ જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ ગરિમાપૂર્ણ પ્રસંગે RBI ગુજરાતના જનરલ મેનેજર અશોક પરીખ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સુ એસ. એમ. કાથડ, SBI ગુજરાત નેટવર્ક-II ના જનરલ મેનેજર અનિલ કુમાર આહિરવાલ, ડેપ્યુટી જનરલ મેનેજર વિજયકુમાર ગંગીશેટ્ટી, રાજેશ પુષ્પાગંદન, આસિસ્ટન્ટ જનરલ મેનેજર વિરેન રાજા તથા અજય શ્રીવાસ્તવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં આર.સેટી જામનગરના નિયામક વિજય સિંહ આર્ય દ્વારા તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તથા કાર્યક્રમને સફળ બનાવવા એસ.બી.આઈ.ના એ.જી.એમ. વિરેન રાજા તથા એલ.ડી.એમ. પ્રદિપ પટેલનો સહયોગ મળ્યો હતો.
