હિન્દ ન્યુઝ, જામનગર
ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્નશ્રી અટલ બિહારી વાજપેઈજીની ૧૦૧મી જન્મજંયતીના દિવસે આયોજિત સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતેથી કલેકટર કેતન ઠક્કર સહિત સંકલન સમિતિના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સના મધ્યમથી સહભાગી થયા હતા.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કર્મયોગી પ્રશિક્ષણ મિશનનો પ્રારંભ, ગુજરાત રાજ્ય બિન-નિવાસી ગુજરાતી ફાઉન્ડેશનની વેબસાઇટનું અનાવરણ, ડિજિટલ ચેકબોર્ડ, ક્યુઆર કોડ, અટલ સ્વાન્ત: સુખાય યોજનાના વેબપોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં ઇ-ગવર્નન્સ અને ડિજિટલ ઈન્ડિયા, ટેકનોલોજી આધારિત સુશાસન માટેની નવી નીતિઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારનો અભિગમ સરળ અને દરેક નાગરિકોને સરકારની યોજનાઓનો લાભ મળી રહે તે છે. પૂર્વ વડાપ્રધાન ‘ભારત રત્ન’ શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતી ‘સુશાસન દિવસ’ નિમિત્તે ગુજરાત સરકાર લોકાભિમુખ વહીવટ થકી નાગરિકોના ‘ઈઝ ઓફ લિવિંગ’ને પ્રાધાન્ય આપી ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ના નિર્માણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.
વીડિયો કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામ અધિકારીઓને જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે સરકારની યોજનાઓની માહિતી મહત્તમ લોકો સુધી પહોંચાડવા અંગે માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.
આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર શારદા કાથડ સહિત સંકલન સમિતિના સભ્યો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
