હિન્દ ન્યુઝ, જામનગર
આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-૨૦૨૫ ની ઉજવણીના ભાગરૂપે, જામનગર જિલ્લાના સહકારી ક્ષેત્રના હોદ્દેદારો, ખેડૂતો અને સભાસદોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ તમામે પોસ્ટકાર્ડ લખીને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી”ની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા GST માળખામાં કરવામાં આવેલા સુધારાઓથી કૃષિ ઉપકરણો, ખાતર અને બિયારણના ભાવોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ ઘટાડાને કારણે ખેડૂતોને મોટી આર્થિક રાહત મળી છે. જિલ્લાના ખેડૂતોએ આ સીધા ફાયદા બદલ વડાપ્રધાનશ્રીનો વિશેષ આભાર માન્યો હતો, જે તેમની કૃષિ આવક વધારવામાં મદદરૂપ થશે.
જિલ્લાના સહકારી સભાસદો, હોદ્દેદારો, ખેડૂતો અને પશુપાલકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નિર્ણયની સરાહના કરી હતી. કેન્દ્રમાં અલાયદા સહકાર મંત્રાલયની સ્થાપના કરવા અને ‘સહકારથી સમૃદ્ધિ’ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતો અને પશુપાલકોના હિતમાં શરૂ કરવામાં આવેલી વિવિધ પહેલોને કારણે સહકારી ક્ષેત્રને નવી દિશા મળી છે. આ પ્રયાસો પ્રત્યે પોતાની સંપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા માટે સહકારી સમુદાયે પોસ્ટકાર્ડ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.
જામનગર જિલ્લાની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ અને સેવા મંડળીઓના સભાસદ ખેડૂતોના પરિવારોએ આ પ્રસંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રીના સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવાના પ્રયાસો થકી તેમના જીવનમાં સમૃદ્ધિ અને સશક્તિકરણ આવ્યું છે.
