“સ્વચ્છોત્સવ-૨૦૨૫”
હિન્દ ન્યુઝ, જામનગર
મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રવ્યાપી “સ્વચ્છ ભારત મિશન”નો પ્રારંભ કરાવ્યો છે. આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૨ ઓક્ટોબર સુધીના પખવાડિયા દરમિયાન દેશભરમાં “સ્વચ્છોત્સવ”ની થીમ પર સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે એક ડગલું આગળ વધારીને “નિર્મળ ગુજરાત ૨.૦” અને આગામી “સ્વચ્છતા સર્વેક્ષણ”ને ધ્યાનમાં રાખીને “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અંતર્ગત યોજાનાર સ્વચ્છોત્સવ અભિયાનની અવધી લંબાવવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે આ અભિયાન તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૩૧ ઓક્ટોબર સુધી યોજાશે. એટલે કે, ગુજરાતમાં માત્ર એક જ પખવાડિયું નહિ, પરંતુ ત્રણ પખવાડિયા સુધી રાજ્યના મહાનગરો, નગરો, ગામડાઓ અને સરકારી કચેરીઓ સહિતના જાહેર સ્થળો ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
જામનગર જિલ્લામાં આ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જેના સુચારુ આયોજનના ભાગરૂપે કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ સ્વચ્છોત્સવને જનઆંદોલન બનાવવા માટે, નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા તેમજ સ્વચ્છતા કર્મીઓના અમૂલ્ય કામને બિરદાવવા માટે વિવિધ કાર્યક્રમો-પ્રવૃત્તિઓનું લગત વિભાગોને આયોજન કરવા જણાવ્યું હતું. ઉપરાંત સ્વચ્છતા અભિયાનની સાથે સાથે થીમ બેઈઝ સફાઈ અભિયાન કાર્યક્રમોનું આયોજન કરી વ્યાપક રીતે સ્વચ્છતા અભિયાનને સાકાર બનાવવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. બેઠકમાં અઠવાડિક થીમના આધારે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં, તા.૧૭ થી ૨૨ સપ્ટેમ્બર દરમિયાન બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, રીક્ષા, ટેક્સી અને સાયકલ સ્ટેન્ડ, જાહેર પાર્કિંગ, શહેરી વિસ્તારમાંથી પસાર થતા રીંગ રોડ, રાજ્યના ધોરી માર્ગ અને રાષ્ટ્રીય ધોરી માર્ગ જેવા સ્થળોની સંપૂર્ણ સાફ-સફાઈ ઉપરાંત કચરાના એકત્રીકરણ અને વર્ગીકરણના તમામ સાધનોની પણ સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.
