હિન્દ ન્યુઝ, અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે મહાન શિક્ષણવિદ્ અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ‘ભારતરત્ન’ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતીએ ભાવાંજલિ સ્વરૂપે ઉજવાતા આજના ‘શિક્ષક દિન’ નિમિત્તે શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યના 30 શિક્ષકોને શૈક્ષણિક ક્ષેત્રમાં તેમની શ્રેષ્ઠતા અને વિશિષ્ટ યોગદાન બદલ ‘ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજનાના 5 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર દ્વારા તેમના ઉત્કૃષ્ટ દેખાવ માટે સન્માન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ પારિતોષિક વિજેતા શિક્ષકોને અભિનંદન આપતાં જણાવ્યું કે, કોઈ પણ સમાજના વિકાસનો પાયો શિક્ષણ હોય છે. તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી શિક્ષણ નીતિમાં ભાર વિનાના ભણતરને પ્રોત્સાહન આપ્યું હોવાનું જણાવી આજના સન્માન કાર્યક્રમને ‘રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ’ ગણાવ્યો હતો. તેમણે ભારતીય સંસ્કૃતિમાં ગુરુઓના વિશેષ મહાત્મ્ય અને ગુરુઓ પ્રત્યેનો આદરભાવ વ્યક્ત કરી, સૌ શિક્ષકો ચારિત્ર્ય નિર્માણ અને જ્ઞાન સમૃદ્ધિથી ભાવિ પેઢીના નિર્માતા બને તે માટેનું પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ વિદ્યાર્થીઓમાં સ્વદેશી અને રાષ્ટ્ર પ્રથમનો ભાવ કેળવી, વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા આહવાન કર્યું હતું..
