હિન્દ ન્યુઝ, અમદાવાદ
શિક્ષકોની કામગીરીને બિરદાવવા માટે દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા “શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક” આપીને તેઓનું સન્માન કરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્યના કુલ ૩૦ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જે પૈકી જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના શિક્ષિકા દેવાંગીબેન બારૈયાને “શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક” થી અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
દેવાંગીબેનને અગાઉ તાલુકા અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન તેમજ કથાકારશ્રી મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ મળ્યા છે. પુરસ્કારની તમામ રકમનો ઉપયોગ તેઓએ શાળાકીય પ્રવૃતિઓમાં જ કર્યો છે. જેમાં તેઓએ કોરોનાકાળ દરમિયાન વિદ્યાર્થીઓને માનસિક મનોબળ પૂરું પાડવા માટે પ્રેરણાત્મક વાર્તાઓની ઓડીઓ સીરીઝ, ૩૫ દિવસની બાલવીવાર્તા શ્રેણી, ઐતિહાસિક અને પૌરાણિક કથાઓ, વેસ્ટ માંથી બેસ્ટ, લેંગ્વેજ કોર્નર બુકલેટ, ગેમ્સ, વિદ્યાર્થીનીઓ માટે ઇન્સીનરેટર મશીન, વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડ્સ આપવા સહીત શૈક્ષણિક હેતુ માટે પુરસ્કારની રકમનો ઉપયોગ કર્યો છે.
પીએમ હડિયાણા કન્યા શાળાના શિક્ષિકા દેવાંગીબેન બારૈયા જણાવે છે કે, છેલ્લા ૧૪ વર્ષથી આ શાળામાં તેઓ ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પુરસ્કારની તમામ રકમનો ઉપયોગ મેં શાળાના વિકાસમાં તથા બાળકોના શિક્ષણાત્મક કાર્ય અર્થે કર્યો છે. અત્યારસુધીમાં મેં ૯ જેટલા ઇનોવેશન્સ કર્યા છે. જેમાંથી રમતા રમતા ભાષા શિક્ષણ, મુલ્ય શિક્ષણની અમુલ્ય રીત પ્રયોગો રાજ્યકક્ષા સુધી પસંદગી પામ્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આયોજિત રમકડા મેળામાં પણ પ્રેઝન્ટેશન કર્યું છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર જોડાયેલા અનસંગ હીરોઝ પૈકી જોડિયા તાલુકાના બે હીરોઝની સ્ટોરી દિલ્હી સાંસ્કૃતિક મંત્રાલય સાથે સંકલનમાં રહીને કવર કરી છે. વેકેશનના સમય દરમિયાન તેઓએ મારું વેકેશન, મારું સર્જન એક્ટીવીટી કરી હતી જેમાંથી રાજ્યના ૧૮૦ બાળકો જોડાયા હતા. અને ચિત્રકૂટ એવોર્ડમાંથી મળેલી રકમ માંથી તેઓને પ્રોત્સાહિત કર્યા હતા
