ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાતે

હિન્દ ન્યુઝ, રાજપીપલા

    ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિ ૧૦ મી, જુલાઈના રોજ સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ, સુખાજી ઠાકોર, હાર્દિક પટેલ, કિરીટસિંહ ડાભી અને ભગાભાઈ બારડે સ્ટેચ્યૂ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી. સભ્યઓએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઊંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે પ્રતિમાની અનોખી ભવ્યતાને નિહાળતા અધ્યક્ષ કિરિટસિંહ રાણાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ નિર્માણ પામનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારત દેશનું ગૌરવ છે, આ પ્રતિમા આવનાર પેઢીને પ્રેરણા આપશે. આજે વિશ્વભરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે ભારતનો ડંકો વાગ્યો છે.  

સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છે, સરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કર્યો છે.   

સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યુ કે, આજે સમિતીના ચેરમેન અને સભ્યઓ સાથે મુલાકાત કરી, સૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આવ્યો, તેમને અભિનંદન આપુ છુ, આજે વિશ્વસ્તરે સુંદર મુર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એકતાંતણે જોડયો હતો, તેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.     

નોંધનીય છે કે, સમિતીએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર, ભૂમિકા અને બહુમૂલ્ય યોગદાન વિશેની ફિલ્મ નિહાળવા ઉપરાંત, તસવીરી પ્રદર્શન પણ નિહાળ્યું હતું. સભ્યશ્રીઓએ વધુમાં જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ મને સરદાર સાહેબના દ્રઢ નેતૃત્વ અને એકતાના સંદેશને નજીકથી સમજવાનો મોકો મળ્યો છે. 

તમામે ૪૫ માળની ઉંચાઇએ આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી એટલે કે પ્રતિમાના હૃદયસ્થાનેથી નર્મદા નદી, સરદાર સરોવર નર્મદા ડેમનો અદભૂત નજારો માણવા સાથે વિધ્યાંચલ અને સાતપુડાની ગીરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું.                               

મહેમાનોને SOU પરિસરમાં ચાલી રહેલા વિકાસકાર્યો, વ્યવસ્થાપન અને મુલાકાતીઓ માટેની સુવિધાઓ અંગે વિગતવાર માહિતી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પીઆરઓ રાહુલ પટેલ અને ગાઈડ પાસેથી મેળવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી (ઓથોરિટી) તરફથી અધિક કલેકટર ગોપાલ બામણીયાના હસ્તે સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવી હતી. 

પધારેલા મહાનુભાવોએ સરદાર સરોવર નર્મદા ડેમ અને પાવરહાઉસની મુલાકાત બાદ એકતા કૃઝનો આનંદ લીધો હતો.

Related posts

Leave a Comment