ભાવનગર જિલ્લાની તમામ કોર્ટોમાં તા.૧૨ જૂલાઇએ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર  

     રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ,અમદાવાદનાં આદેશાનુસાર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગર ધ્વારા ભાવનગર ખાતે કાર્યરત તમામ અપીલ અદાલતો તથા સીનીયર તથા જુનીયર દિવાની અદાલતોમાં તથા તાલુકા ખાતે કાર્યરત વિવિધ અદાલતોમાં તા.૧૨/૦૭/૨૦૨૫ નાં રોજ “રાષ્ટ્રિય લોક અદાલત” યોજાનાર છે. 

ભાવનગર શહેર વિસ્તારમાં ટ્રાફિકને લગતા ઈ-મેમોને લગતા કેસો કે જેમાં સંદર્ભમાં દર્શાવેલ પત્ર જોતા ઈ-મેમોના કેસો પણ પ્રિ-લીટીગેશનથી નિકાલ થઈ શકે તેમ છે અને જે તે પક્ષકારોની સામે કોર્ટમાં કેસ દાખલ કર્યા વિના પણ તા.૧૨/૦૭/૨૦૨૫ની રાષ્ટ્રીય લોક અદાલત યોજાય તે પહેલા પ્રિ-લીટીગેશનથી નિકાલ થઈ શકે તેમ છે. આ લોક અદાલતમાં સમાધાન પાત્ર તમામ દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે.

આ લોક અદાલતમાં પી.જી. વી. સી. એલ.,નેગોશીએબલ એકટ ( ચેક રીટર્ન), બેન્કને લગતા કેસો, મોટર અકસ્માત વળતરનાં કેસો, લગ્ન વિષયક કેસો, રેવન્યુ કેસો, જમીન સંપાદનના વળતરના કેસો તેમજ લેબર કોર્ટના કેસો વગેરે સમાધાન માટે રાખવામાં આવનાર છે. તેથી ભાવનગર શહેરની જાહેર જનતાને આ જાહેર નોટીસથી જાણ કરવાની કે ભાવનગર ટ્રાફિક પોલીસ દ્વારા જે ઈ-મેમો આપવામાં આવે છે, તેમાં નિયમ મુજબ માંડવાળ કરીને દંડ ભરપાઈ કરી આપવા માટે જાણ કરવામાં આવે છે કે જેથી કોર્ટમાં કેસો દાખલ થયા વિના આવા ઈ-મેમોના કેસોનો નિકાલ થઈ શકે. 

વધુમાં જે વ્યકિતઓ સાયબર ક્રાઈમના ગુન્હામાં ભોગ બનેલ છે અને તેમણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુન્હાની વિગત દર્શાવતી અરજીઓ કરેલ છે અને તે અરજીઓ વખતે પોલીસની કાર્યવાહીથી તેમની રકમ ફ્રીઝ થયેલ છે તે રકમ પરત મેળવવાની અરજીઓ તા.૧૨/૦૭/૨૦૨૫ની લોક અદાલત પહેલા વહેલામાં વહેલી તકે જે તે હકુમતની કોર્ટમાં દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે, તેથી આવી રકમ ડીફ્રીઝ કરવાની મુદામાલ અરજીઓ જે તે કોર્ટમાં જલ્દી દાખલ કરવાની પણ તમામ લાગતા વળગતા પક્ષકારોને જાણ કરવામાં આવે છે.

પક્ષકારોએ નેશનલ લોક અદાલત દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરી શકે માટે આ અંગેની વધુ જાણકારી મેળવવી હોય તો જે તે અદાલતનો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, ભાવનગરનો તથા તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે. તેમ ભાવનગર જિલ્લા કાનૂની સત્તા મંડળના સચિવ ડી.બી.તિવારીની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related posts

Leave a Comment