હિન્દ ન્યુઝ, રાજકોટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજકોટ જિલ્લા અને મહાનગરપાલિકામાં અદ્યતન આર્ટ ગેલેરી, જસદણ ખાતે સ્પોર્ટ્સ સંકૂલ તેમજ GETCO, GWSSB, માર્ગ-મકાન વિભાગ સહિતના કુલ ₹557 કરોડથી વધુના 41 પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાજ્યના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા.
મુખ્યમંત્રી દ્વારા આ અવસરે સ્વામિત્વ યોજના અંતર્ગત લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ તથા નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહક રકમના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનને MSME ઈન્ટરનેશનલ કો-ઓપરેશન સ્કીમ હેઠળ ₹75 લાખની સહાયનો રિએમ્બર્સમેન્ટ પત્ર અર્પણ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘નાગરિક દેવો ભવઃ’ના મંત્ર સાથે ગત 11 વર્ષમાં નાનામાં નાના માણસ સુધી વિકાસના લાભો પહોંચાડીને સુશાસનનું મોડલ પ્રસ્થાપિત કર્યું છે. તેમણે માનનીય વડાપ્રધાનના નેતૃત્વમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં થયેલ પ્રગતિ થકી આવેલ પરિવર્તનની રૂપરેખા રજૂ કરી, રાજકોટને ગુજરાતનું MSME, એન્જિનિયરિંગ અને જ્વેલરી મેકિંગ સહિતના ક્ષેત્રોનું હબ ગણાવ્યું હતું. મુખ્યમંત્રીએ આ સાથે જ રાજ્યના શહેરોને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત બનાવીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

