મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત જામનગર જિલ્લાની ૨૯ ગૌશાળાઓ તથા પાંજરાપોળ માટે રૂ. ૩.૨૩ કરોડની આર્થિક સહાય મંજૂર કરતા જિલ્લા કલેકટર કેતન ઠક્કર

હિન્દ ન્યુઝ, જામનગર

     જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર ખાતે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વર્ષ ૨૦૨૪-૨૫ અન્વયે જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટર કેતન ઠક્કર દ્વારા પાત્રતા ધરાવતી સંસ્થાઓની ગૌમાતા પોષણ યોજના અંતર્ગત આવેલી અરજીઓને ધ્યાને લઈ સહાય માટે મંજૂરી અપાઈ છે.

આ યોજના અંતર્ગત ઓક્ટોબર-૨૦૨૪ થી ડિસેમ્બર-૨૦૨૪ (ત્રીજો હપ્તો વર્ષ ૨૦૨૪-૨૫)ના કુલ ૯૨ દિવસ પ્રમાણે પ્રતિ દિન રૂ. ૩૦/- લેખે પશુ નિભાવ સહાય માટે આઈ-ખેડૂત પોર્ટલ પર કુલ ૩૩ સંસ્થાઓની અરજી મળેલ હતી. જે પૈકી જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા દૈનિક પશુઓની સંખ્યા ૧,૦૦૦ થી ઓછી ધરાવતી કુલ ૨૭ સંસ્થાઓની અરજીઓ મંજૂર કરી ચુકવણા અર્થે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે. જ્યારે ૨ સંસ્થાઓની અરજીઓ ઠરાવની શરતો પરિપૂર્ણ ન કરતી હોવાથી નામંજૂર કરવામાં આવેલ હતી અને ૪ સંસ્થાઓએ સમયમર્યાદામાં અરજી રજૂ કરેલ ન હતી.

તે પ્રમાણે જ જાન્યુઆરી-૨૦૨૫ થી માર્ચ-૨૦૨૫ ના ૯૦ દિવસ પ્રમાણે પશુ નિભાવ સહાય માટે આઈ-ખેડૂત પોર્ટલ પર કુલ ૩૨ સંસ્થાઓએ અરજી કરેલ હતી. તે પૈકી જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા દૈનિક પશુઓની સંખ્યા ૧,૦૦૦ થી ઓછી ધરાવતી કુલ ૨૯ સંસ્થાઓની અરજીઓ મંજૂર કરી ચુકવણા અર્થે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે. જ્યારે ૨ સંસ્થાઓની અરજીઓ ઠરાવની શરતો પરિપૂર્ણ ન કરતી હોવાથી નામંજૂર કરવામાં આવેલ અને અન્ય ૧ સંસ્થાએ ડુપ્લીકેટ અરજી કરેલ હતી.

આમ, જિલ્લામાંથી કુલ ૨૯ સંસ્થાઓના ત્રીજા તબક્કાના ૫,૮૨૧ અને ચોથા તબક્કાના ૬,૦૩૧ પશુઓ માટે પ્રતિ દિન રૂ.૩૦/પશુ લેખે અનુક્રમે ૧,૬૦,૬૫,૯૬૦ અને ૧,૬૨,૮૩,૭૦૦ મળી કુલ ૩,૨૩,૪૯,૬૬૦ રૂપિયાની સહાય કલેકટર દ્વારા મંજૂર કરવામાં આવી અને ચુકવણા માટે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, નાયબ પશુપાલન નિયામક તેજસ શુક્લા, જિલ્લા કક્ષાના પ્રતિનિધિઓ, સભ્ય સચિવ, નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત જામનગર ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment