હિન્દ ન્યુઝ, જામજોધપુર
જામજોધપુર તાલુકાના ઉમિયાધામ, સીદસર ખાતે સવા શતાબ્દી મહોત્સવની ઉજવણી અંતર્ગત યોજાયેલા વિરાટ કૃષિ સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં માતૃશક્તિનું અનેરું સ્થાન છે. વીરતા, વિદ્યા અને ધનના આદર્શ માતા દુર્ગા, સરસ્વતી અને લક્ષ્મીજી છે. ‘માતૃદેવો ભવ:’ ની આપણી સંસ્કૃતિ સંદેશ આપે છે કે, માતાનું સાંન્નિધ્ય, આશીર્વાદ અને કૃપા સંતાનની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે અને તેને સુખથી સંતૃપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. સિદસર ખાતે માતાજીના પ્રાગટ્યના ૧૨૫ વર્ષ થયા છે ત્યારે આ માત્ર જન્મોત્સવ નહીં પરંતુ સમાજોત્કર્ષનું પર્વ છે. સમાજની આવનાર પેઢીઓમાં સંસ્કાર સિંચન અને વિદ્યાદાન હેતુ રાજકોટ, અમદાવાદમાં વિવિધ શૈક્ષણિક સંકુલો સ્થાપિત કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ ઉત્સવ નિમિત્તે આયોજિત સંમેલનોમાં વિચાર-વિમર્શ દ્વારા કુરીવાજ નિર્મૂલન અને સમાજ ઉત્કર્ષ માટે આ સમાજની પ્રતિબદ્ધતા જોવા મળે છે.
