વેરાવળ ખાતે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની મદદથી ભૂલા પડેલા વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવાયું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે રાત્રીના સમયે ભૂલા પડેલા ૭૦ વર્ષનાં માનસિક અસ્થિર વૃદ્ધાને તેમના પરિવાર સુધી પહોંચાડ્યા હતાં અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

વેરાવળનાં એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧માં કોલ કરી જણાવ્યું હતું કે, તેમના વાડી વિસ્તારમાં કોઈ અજાણ્યા વૃદ્ધ મહિલા એકલા છે અને ભૂલા પડી ગયા છે. વળી, તે વિસ્તારમાં સિંહ-દીપડાની અવર-જવર પણ રહે છે અને રાત્રીના સમયમાં વૃદ્ધાને સુરક્ષાની જરુર છે. આ કૉલથી તાત્કાલિક વેરાવળ ૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર દાફડા અંજના અને પાઈલોટ બામણિયા રમેશ સહિતની ટીમ સ્થળ પર જ પહોંચ્યા હતાં. ૧૮૧ ટીમ દ્વારા વૃદ્ધા સાથે વાતચીત કરી હતી. જેથી તેમને એ જાણવા મળ્યું કે, વૃદ્ધાને ત્રણ દિકરા અને એક દિકરી છે. વૃદ્ધા દિકરાની શોધમાં ઘરેથી નીકળ્યા હતા પરંતું દિકરા ન મળતા વૃદ્ધા ખૂબ જ રડવા લાગ્યા હતાં. તેથી તેમને આશ્વાસન આપી દિકરા સુધી પહોંચાડવાની સાંત્વના આપી હતી.

વૃદ્ધાને દિકરીનાં ઘરનું સરનામું યાદ નહોતું. પરંતુ સોસાયટીનું નામ જણાવ્યું હતું. જેથી વૃદ્ધાનાં જણાવ્યા મુજબ વેરાવળની સોસાયટીમાં પહોંચ્યા હતા. જે પછી સોસાયટીના લોકો પાસેથી વૃદ્ધ મહિલાના ઘર અને પરીવાર વિશે જાણકારી મેળવી હતી અને દિકરીનાં ઘરે પહોંચ્યા હતાં. દિકરી- જમાઈ અને વૃદ્ધાનાં પતિને મળ્યા તો જાણવા મળ્યું કે, ખરેખર વૃદ્ધાને કોઈ સંતાન નથી અને જેને દિકરી તરીકે જણાવતા હતા તે તેમના ભાઈની દિકરી હોય અને હાલ તેઓ દિકરી-જમાઈ તે બન્ને પતિ-પત્નીને સંભાળે છે. આમ દિકરા ન હોવાના ખાલીપામાં વૃદ્ધાએ માનસિક સંતુલન ગુમાવ્યું હતું. વૃદ્ધાની શોધમાં ચિંતાતુર દિકરી-જમાઈ અને વૃદ્ધાનાં પતિ સાથે મિલન કરાવતા ખુશ થઈ ૧૮૧ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો

Related posts

Leave a Comment