આગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર 

આગામી જાન્યુઆરી-૨૦૨૪ – ફેબ્રુઆરી-૨૦૨૪ નાં માસ દરમ્યાન તા.૦૪/૦૧/ર૦૨૪ નાં રોજ કાલાષ્ટમી, તા.૦૫/૦૧/૨૦૨૪ નાં રોજ ગુરૂ ગોવિંદસિહ જ્યંતિ, તા.૧૨/૦૧/૨૦૨૪ નાં રોજ સ્વામી વિવેકાનંદ જ્યંતિ, તા.૧૪/૦૧/૨૦૨૪ નાં રોજ મકરસંક્રાંતિ, તા.૧૮/૦૧/ર૦ર૪ નાં રોજ દુર્ગાષ્ટમી, તા.૨૩/૦૧/૨૦૨૪ નાં રોજ સુભાષચંદ્ર બોસ જ્યંતિ, તા.૨૬/૦૧/૨૦૨૪ નાં રોજ પ્રજાસત્તાક દિવસ તથા તા.૦૨/૦૨/૨૦૨૪ નાં રોજ રામાનંદાચાર્ય જ્યંતિ/ કાલાષ્ટમી વગેરે તહેવારો ઉજવનારા છે. આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમિયાન સુલેહ-શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલાં લેવા અનિવાર્ય જણાતાં સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુંહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડનાં પાઈપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ તે માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષક, ભાવનગરનાં પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે. જે અનુસાર જાહેર શાંતિ અને સલામતી જાળવવા સારૂ જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાતા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૧) અન્વયે મળેલ અધિકારની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા આથી જાહેર શાંતિ અને સલામતી જાળવવા સારું ફરમાવેલ છે કે કોઈએ તા૦૩/૦૨/૨૦૨૪ સુધી કોઈ વ્યક્તિ કે વ્યક્તિનાં સમુહ દ્વારા જાહેરમાં તિક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુંહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડનાં પાઈપ, ભાલા તથા દંડા, બંદુક, લાઠી અથવા શારીરીક ઈજા પહોંચાડી શકાય તેવી બીજી કોઈ ચીજવસ્તુઓ કે હથિયારો જાહેરમાં લઈ જવા નહિ. કોઈ પણ જાહેર જગ્યામાં લોકોને શારીરીક નુકશાન કરે તેવા પદાર્થો તથા લાયસન્સ/પરમીટ વગર સ્ફોટક પદાર્થ લઈ જવા, લાવવા નહિ. પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા ફેંકી શકાય તેવા કોઈ સાધન સામગ્રી કે યંત્રો જાહેરમાં એકઠા કરવા/તૈયાર કરવા તેમજ સભા/સરઘસની મંજુરી આપનાર સક્ષમ અધિકારીશ્રીની મંજુરી લીધા વગર સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવી નહિ. વ્યક્તિ કે વ્યક્તિના જુથ દ્વારા કોઈ અન્ય વ્યક્તિ કે વ્યક્તિના સમુહના શબ અથવા આકૃતિઓ કે પુતળા જાહેરમાં દેખાડવા નહિ.

આ હુકમ સરકારી નોકરી કે કામ કરતી કોઈ વ્યક્તિને જો ત્યાંના ઉપરી અધિકારીએ આવું કોઈપણ હથિયાર લઈ જવાનું ફરમાવ્યું હોય અથવા આવું કોઈપણ હથિયાર લઈ જવાની તેની ફરજ હોય, પોલીસ અધિક્ષક અથવા તેણે અધિકૃત કરેલ પોલીસ અધિકારી કે જેને શારીરીક અશક્તિને કારણે લાકડી અથવા લાઠી લઈ જવાની પરવાનગી આપી હોય તે વ્યક્તિને, જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ આ અર્થે ખાસ અધિકૃત કરે તેવી બીજી કોઈ વ્યક્તિને લાગુ પડશે નહિ.

આ જાહેરનામું ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામાનો કોઈ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર મહિનાની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા અને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(૧) મુજબની દંડની પણ સજા થશે. આ જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલનાં પગલા લેવા ફોજદારી કામ માંડવા માટે ફરજ પરનાં કોઈપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરનાં અધિકારીને અધિકાર રહેશે.

 

 

 

Related posts

Leave a Comment