કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જામનગર તાલુકાના ઘુંવાવ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર

સમગ્ર રાજ્યના છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરેક ગામમાં પરિભ્રમણ કરી રહી છે. જામનગર જિલ્લાના જામનગર તાલુકામાંં આવેલા ઘુંવાવ ગામમાં રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામગૃહ નિર્માણના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સર્વે ગ્રામજનો દ્વારા મંચસ્થ મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દીપપ્રાગટ્ય કરાયા બાદ ધુંવાવ પ્રાથમિક શાળાની વિધાર્થીનીનો દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધુંવાવ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ”ધરતી કરે પુકાર : પ્રાકૃતિક કૃષિ ” અન્વયે નુક્કડ-નાટક રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ ”મેરી કહાની મેરી જુબાની” માં લાભાર્થીઓએ તેમના અનુભવો વ્યક્ત કર્યા હતા. તેમજ, મંચસ્થ મહાનુભાવોના હસ્તે હર ઘર જલ યોજના અંતર્ગત ઘુંવાવ ગ્રામ પંચાયતને અભિનંદન પત્ર, સ્વામિત્વ યોજના હેઠળ રેકર્ડ ડિજિટલાઇઝેશનનું પ્રમાણપત્ર, આભાકાર્ડ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી ઉજવલ્લા યોજના, શ્રમિક અન્નપૂર્ણા યોજના જેવી વગેરે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો સ્થળ પર જ અર્પણ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, મહાનુભાવો દ્વારા વિવિધ વિભાગના સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી અને ડ્રોનનું નિર્દેશન નિહાળવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વે દ્વારા વિકસિત ભારત-2047 ના સંકલ્પને સાર્થક કરવા માટેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નલીનભાઈ રાજાણી દ્વારા અને આભારવિધિ જામનગર તાલુકા વિકાસ અધિકારી સરવૈયાભાઈ દ્વારા કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જામનગર તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન દુધાગરા, ચંપાબેન પરમાર, કુમારપાળસિંહ રાણા, ગિરિરાજસિંહ રાણા, હસમુખભાઈ કણજારીયા, કેશુભાઈ લૈયા, મુકુંદભાઈ સભાયા, આજુબાજુના ગામમાંથી પધારેલા અગ્રણીઓ, અધિકારીઓ, ધુંવાવ ગામના ગ્રામજનો તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment