ગીર સોમનાથના ખેડૂતો પર્યાવરણનું જતન કરી અપનાવી રહ્યાં છે પ્રાકૃતિક ખેતી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

       વર્તમાન સમયમાં વધારે પડતા રસાયણયુકત ખાતરો અને જંતુનાશક દવાઓના આડેધડ ઉપયોગથી જમીન અને હવા પ્રદુષીત થવાથી પર્યાવરણમાં અસંતુલનના કારણે ઋતુચક્રોમાં વિષમતા જોવા મળી રહી છે તેમજ લોકોના સ્વાસ્થ પણ જોખમમાં છે આ પરિસ્થિતિના નિવારણ અર્થે રાજ્યપાલશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યો છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ માં કુલ ૧૩૭૨૦ ખેડૂતો દ્વારા અલગ અલગ પાક જેવા કે મગફળી, શેરડી, ઘઉં, શાકભાજી, કઠોળ અને બાગાયતી પાકોમાં કુલ અંદાજીત ૧૭૧૯૨ એકર જમીન માં પ્રાકૃતિક ખેતી અપનાવી પર્યાવરણનુ જતન કર્યુ છે.

જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન કુલ–૧૪૪૪૬ અને વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન કુલ -૧૧૪૩૨ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ, ગ્રુપમિટિંગ, રાત્રીસભા, ખેડૂત મુલાકાત વગેરે દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગેનું માહિતી માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે.

ગીર સોમનાથ જિલ્લામાં ૩૨૯ ગ્રામ પંચાયત પૈકી ૧૩૫ ગ્રામ પંચાયતમાં ૭૫થી વધુ ખેડૂતો આગામી ખરીફ સીઝનમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવશે તેમજ ૧૨૧ ગ્રામ પંચાયતમાં ૫૦ થી ૭૫ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવેલ છે. તેમજ ૭૩ ગ્રામ પંચાયતમાં ૨૫ થી ૫૦ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી આવી છે.

ઉપરાંત જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અંગેના કુલ – ૩૪ ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે. ગુજરાત સ્થાપના દિવસ પહેલી મે ૨૦૨૩થી આ ક્લસ્ટર વાઈઝ ક્લસ્ટર બેઇજ તાલીમની શરૂઆત કરવામાં આવી છે. જેમાં કુલ – ૨૨૧ તાલીમ કરાઈ છે અને કુલ ૫૪૦૮ ખેડૂતો ને ફાર્મર માસ્ટર ટ્રેનર અને ટેકનીકલ માસ્ટર ટ્રેનર દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક ખેતીને એક મહા અભિયાન તરીકે હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના દરેક ગામમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાય તે માટે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ પ્રાકૃતિક ખેતી સાથે પર્યાવરણની પણ જાળવણી થાય તેને અનુલક્ષીને વિવિધ પદ્ધતિઓ દ્વારા ગુજરાત સરકારના ખેતીવાડી, બાગાયત એમ વિવિધ વિભાગો થકી ખેડૂતોને માર્ગદર્શન મળી રહ્યું છે.

Related posts

Leave a Comment