મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આહવાના સેવાધામ ખાતે યોજાયો ‘પ્રાકૃતિક સંશાધન વ્યવસ્થાપન અને પ્રકલ્પ કાર્યાવલોકન’ કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, ડાંગ
        વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રસ્ટીવંત નેતૃત્વે ગુજરાતને ‘વનબંધુ કલ્યાણ’ જેવી આદિવાસી સમાજ ઉત્કર્ષની યોજનાની ભેટ આપી, ગુજરાતનાં આદિવાસી બાંધવોને મુખ્ય પ્રવાહમાં જોડવાનું કામ કર્યું છે તેમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આહવા ખાતે જણાવ્યુ હતું. ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભાઈ પટેલ આહવાના સેવાધામ ખાતે ડો.આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘પ્રાકૃતિક સંશાધન વ્યવસ્થાપન અને પ્રકલ્પ કાર્યાવલોકન’ કાર્યક્રમમાં ઉદબોધન કરી રહ્યા હતા. મુખ્યમંત્રીએ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી કલાઇમેટ ચેન્જની સ્થિતિ વચ્ચે જળ, જમીન, અને જંગલના જતન સંવર્ધનના કાર્યોમાં સમગ્ર સરકાર તેમની સાથે છે તેમ જણાવી, વિસરાતા ધનધાન્ય ને વધુ લોકભોગ્ય બનાવવા ઉપરાંત સમાજને સ્વાસ્થ્યપ્રદ અન્ન, પાણી મળી રહે તે માટે વડાપ્રધાનએ ‘મિલેટ વર્ષ’ ની ઉજવણી થકી પ્રાકૃતિક ખેતીને પણ વૈશ્વિક સ્તરે નામના અપાવી છે તેમ ઉમેર્યું હતું. આદિવાસી વિસ્તારમાં વિકાસના અવનવા પ્રકલ્પોની ઝાંખી રજૂ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડો.આંબેડકર વનવાસી ટ્રસ્ટના સમજોપયોગી કાર્યોમાં સરકાર ખૂટતી કડીનું કાર્ય કરશે, તેમ જણાવી સંસ્થાના પ્રયાસોની સરાહના કરી હતી. દરમિયાન ડો.ગજાનન ડાંગે એ જળ વાયુ પરીવર્તન સાથે જંગલ વિસ્તારની માટીના ધોવાણ અને જંગલની ઘટતી ગીચતા બાબતે સૌએ સાથે મળીને ચિંતા કરવાનો સમય પાકી ગયો છે તેમ જણાવ્યુ હતું.
પ્રાસંગિક ઉદબોધનમાં ડો.ડાંગે એ લુપ્ત થતાં ધન ધાન્યને પ્રાકૃતિક ખેતીના નવતર પ્રયોગથી બચાવી શકશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ડો.આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ‘સેવાધામ’ ના માધ્યમથી વિવિધ શૈક્ષણિક અને સ્વાસ્થ્ય પ્રકલ્પો સાથે સામાજિક, અને સ્વાવલંબન માટેના કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે NRM પ્રકલ્પ કાર્યાવલોકન કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આહવાના સન્સેટ પોઈન્ટ સ્થિત સેવાધામ ખાતેના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી કુવરજીભાઇ હળપતિ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવિત, પૂર્વમંત્રી પુર્ણેશભાઈ મોદી, સહિતના મહાનુભાવો અને સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ડો.આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટના અધ્યક્ષ તુલસીભાઈ માવાણી, ડો.ગજાનન ડાંગે, સર્વ યશવંતભાઈ ચૌધરી, લલિતજી બંસલ સહિતના અગ્રિમ હરોળના સેવાધારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના આરંભે શાબ્દિક સ્વાગત કરતાં તુલસીભાઈ માવાણીએ સંસ્થાની કામગીરીનો પરિચય પૂરો પડ્યો હતો. ડો.ગજાનન ડાંગે-અધ્યક્ષ-યોજક-પુણે એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. જ્યારે કાર્યાન્તે લલિતજી બંસલે આભાર દર્શન કર્યું હતું.

Related posts

Leave a Comment