ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ટૂંકું ને ટચ ને શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક

હિન્દ ન્યુઝ, ભાવનગર

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રતિ વર્ષ શ્રેષ્ઠ પુસ્તકો માટે અનેકવિધ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે, જે અંતર્ગત વર્ષ ૨૦૧૮, ૧૯ના વિવિધ વિભાગના સર્વશ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સુરેન્દ્રનગરના રાજ સૌભાગ સત્સંગ મંડળ, સાયલા ખાતે આયોજિત ત્રિદિવસીય જ્ઞાન સત્ર અંતર્ગત યોજાયેલ એક એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં રઘુવીર ચૌધરી, માધવ રામાનુજ, શ્રી નરોત્તમ પલાણ, પીનાકીન દવે સહિતના અગ્રણી સાહિત્યકારોની ઉપસ્થિતમાં આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા. લેખક, ચિંતક અને વક્તા પુલક ત્રિવેદીના ટૂંકું ને ટચ પુસ્તકની નિબંધસંગ્રહ વિભાગમાં વર્ષ ૨૦૧૮ માટે સર્વશ્રેષ્ઠ પુસ્તક તરીકે પસંદગી કરાઈ છે. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ભગતના ગામ સાયલા ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના યોજાયેલા ત્રિદિવસીય અધિવેશનમાં ટૂંકું ને ટચ પુસ્તકને સદવિચાર પરિવાર પારિતોષિત એનાયત કરવામાં આવ્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ પ્રકાશ ન. શાહના હસ્તે આજે પુલક ત્રિવેદીને પારિતોષિક આપવામાં આવ્યો હતો. સરળ ભાષા, રસાળ શૈલી જેમની આગવી તાકાત છે એવા પુલક ભાઈ ત્રિવેદીએ સમાજ, મન:ચેતના, આંતરિક શક્તિઓ, રમત ગમત, વ્યાપાર જેવા વિવિધ વિષયો ઉપર પોતાના જીવનના અનુભવોનો સુમેળ સાધીને વાસ્તવવાદી હકારાત્મક અભિગમ સાથે માનવતા અને પ્રેરણાની ગાથા રસપ્રદ શૈલીમાં રજૂ કરી છે. વિવિધ દૈનિકોના કટાર લેખક ત્રિવેદી રાજ્ય સરકારના માહિતી ખાતામાં વરિષ્ઠ અધિકારી તરીકે કાર્યરત છે. તેમણે રાજ્ય સરકારના ૨૭૫ જેટલા વિકાસલક્ષી પુસ્તકોનું પ્રકાશન કર્યું છે. ટૂંકું ને ટચ પુસ્તક અગાઉ તેમના સીધુ ને સટ નિષ્કર્ષ અને આસ્વા નામના ત્રણ પુસ્તકો પણ પ્રકાશિત થઈ ચૂક્યા છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે તાજેતરમાં અસાઈત સાહિત્ય સભા દ્વારા પુસ્તક સીધુ ને સટને નિબંધ સંગ્રહ વિભાગનું વર્ષ ૨૦૨૧નું સર્વશ્રેષ્ઠ પુસ્તકનું પારિતોષિક એનાયત કરાયું છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા વર્ષ ૨૦૧૮, ૧૯ માટે વિવિધ વિભાગના પારુલ ખખ્ખર, પૂજા તત્સત, દિનેશ દેસાઈ, ડો..ચંદ્રકાન્ત મહેતા, હરિકૃષ્ણ પાઠક, મહેન્દ્રસિંહ પરમાર, રમેશ તન્ના સહિતના કુલ ૪૧ જેટલા લેખકોના પુસ્તકોને પારિતોષિકો એનાયત કરાયા હતા.

Related posts

Leave a Comment