હિન્દ ન્યુઝ, ભાવનગર
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વિશ્વના સૌથી મોટા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં પ્રબળ ઈચ્છા શક્તિથી જોડાવા માટે આહવાન કર્યું છે.
મંત્રી વાઘાણીએ કહ્યું કે, સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર દેશ જ્યારે એક બન્યો છે, ત્યારે તમામ ગુજરાતીઓ એક બનીને અનેકવિધ કાર્યક્રમો દ્વારા જ્ઞાતિ, જાતિ, સંપ્રદાયને ભૂલીને માં ભારતીના ગૌરવના અવસર એવાં ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાય.
ભારતની આ પવિત્ર ભૂમિનું એક પણ સ્થળ એવું ન રહેવું જોઈએ કે, જ્યાં તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન યોજાનાર ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં તિરંગો ન લહેરાય.
નદી, જંગલ, દરિયાકિનારો, પહાડો, શહેર, ગામડું આ તમામે તમામ જગ્યાએ માં ભારતીના ગૌરવના પ્રતિક સમાન તિરંગો લહેરાવવા માટે કટિબધ્ધ થવા સૌ ભારતવાસીઓ અને ગુજરાતવાસીઓને તેમણે અપીલ કરી છે.
કોઈપણ વ્યક્તિ કે પરિવાર તેમાંથી બાકાત ન રહે અને દેશભક્તિના રંગે રંગાઈને માં ભારતીનું આ પર્વ ગૌરવ સાથે ઉજવવા મંત્રીએ અનુરોધ કર્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ અગાઉ પણ ભારતના નાગરિકો આ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં જોડાયાં છે, પરંતુ હજુ પણ વધુ પ્રબળ રીતે ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાઈને પોતાની દેશભક્તિને પ્રગટાવીએ.
‘આપણું ભારત – આગવું ભારત’ બને તે માટે એક ભારતીય બનીને તેની ઉજવણીમાં સહભાગી થઈએ તેમ તેમને વધુમાં ઉમેર્યું હતું.