ભાવનગર જિલ્લામાં કોવિડ પ્રીકોસન ડોઝ આપવાની શરૂઆત

હિન્દ ન્યુઝ, ભાવનગર

આજથી રાજ્યભરમાં કોરોનાના પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. તે અંતર્ગત ભાવનગર જિલ્લાના સિહોર ખાતે કોરોનાનો પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે.

આ રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવતાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલે સૌ પ્રથમ કોરોનાનો પ્રિકોશન ડોઝ લઈને એક આગવી શરૂઆત કરાવી હતી.

જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલે જે પણ લોકો આ રસી લેવાં માટે પાત્ર ઠરે છે તે લોકોએ રસીકરણ લઈ લેવાં માટે અનુરોધ કર્યો હતો.

આઝાદીના અમૃત પર્વ પ્રસંગે રાજ્યમાં ૧૫ જુલાઈથી ૭૫ દિવસ સુધી કોવિડ વેક્સિનના અમૃત મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે. તે અંતર્ગત ૧૮ થી ૫૯ વર્ષની વય જૂથના રસી મેળવવા પાત્ર લાભાર્થીઓને વિનામૂલ્યે કોવિડ વેક્સિનેશન કરવાનો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલે તથા જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા દ્વારા જાહેર જનતા તેનો લાભ લે તે માટે અપીલ કરવામાં આવી છે.

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણીકુમાર આર.સી.એચ.ઓ. કોકીલાબેન સોલંકી, તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચંદ્રકાંતભાઈ કણઝરીયા, જિલ્લા પ્રતિનિધિ યશપાલસિંહ જાડેજા, પ્રતિકભાઇ ઓઝા, તાલુકા હેલ્થ વિઝિટર હસુમતીબેન ગોહિલ, તાલુકા મામલતદાર મોસમ જાસપુરીયા, તાલુકા વિકાસ અધિકારી, મેડિકલ ઓફિસર ડો. મિલન ઉપાધ્યાય સહિતના આરોગ્ય વિભાગના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિતે કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત તમામ સરકારી રસીકરણ કેન્દ્રો પર તા. ૧પમી જુલાઇ, ર૦રરથી ૭પ દિવસ સુધી એટલે કે તા. ૩૦મી સપ્ટેમ્બર, ર૦રર સુધી જ આ સુવિધા ઉપલબ્ધ રહેશે.
એટલું જ નહિં, ૧૮-પ૯ વર્ષની વયજુથના અને બીજા ડોઝના ૬ મહિના પૂર્ણ થઇ ગયા હોય તેવા લોકો જ આ પ્રિકોશન ડોઝ માટે એલીજીબલ ગણાશે.

ગુજરાતમાં તમામ જિલ્લા/કોર્પોરેશનમાં આ વયજુથના અંદાજે ૪ કરોડ લાભાર્થી પ્રિકોશન ડોઝ માટે એલીજીબલ થનારા છે તેમને આ વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ સેવાનો લાભ મળી શકશે

રાજ્યના આરોગ્ય વિભાગે આ હેતુસર અંદાજીત ૩,પ૦૦ કોવિડ વેક્સિનેશન સેન્ટરો પર ૧પ હજારથી વધુ આરોગ્યકર્મીઓ દ્વારા રસીકરણની વ્યવસ્થા સુનિશ્ચિત કરેલી છે.

આ અભિયાન માટે કોવિશિલ્ડ વેક્સિનના અંદાજે ૩.પ૦ કરોડ ડોઝ અને કોવેક્સિનના પ૦ લાખ ડોઝ ભારત સરકાર દ્વારા રાજ્ય સરકારને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકાર રાજ્યમાં આ પ્રિકોશન ડોઝ માટે પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને વિનામૂલ્યે વેક્સિન આપીને રૂ. ૭૦૦ કરોડથી વધુની ભેટ “આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત ગુજરાતને આપશે.

પ્રથમ અને બીજા ડોઝની જેમ જ રાજ્યભરમાં વિવિધ સ્થળોએ સરકારી રસીકરણ કેન્દ્રો ઉભા કરીને પાત્રતા ધરાવતા તમામને પ્રિકોશન ડોઝ અપાશે અને આગામી ૭પ દિવસોમાં મહત્તમ લાભાર્થીઓને રાજ્યના આરોગ્ય તંત્ર દ્વારા વેક્સિનેશન અન્વયે આવરી લેવામાં આવશે

કેન્દ્ર સરકારે આ વેક્સિનેશન ડ્રાઇવને મિશન મોડમાં દેશભરમાં ઉપાડી લેવાના દિશાનિર્દેશો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપેલાં છે.

તદઅનુસાર, પબ્લિક અને પ્રાયવેટ સેકટરના મોટા ઓફિસ કોમ્પ્લેક્ષ, ઉદ્યોગ ગૃહો, રેલ્વે સ્ટેશન, આંતરરાજ્ય બસ સ્ટેશન્સ, અને શાળા કોલેજોમાં સ્પેશ્યલ વર્કપ્લેસ વેક્સિનેશન કેમ્પ્સ યોજવા રાજ્ય સરકારોને જણાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યનો આરોગ્ય વિભાગ આ સંદર્ભમાં આગામી દિવસોમાં વ્યાપક કાર્ય આયોજન હાથ ધરશે.

ગુજરાતમાં તા. ૧૪મી જુલાઇ-ર૦રર સુધીમાં ૧૮ થી વધુની વયના ૪ કરોડ ૯ર લાખ ર૭ હજાર એટલે કે ૯૯.૮૦ ટકા લાભાર્થીઓને પ્રથમ ડોઝ તેમજ ૪ કરોડ ૯૧ લાખ ૩૯ હજાર લાભાર્થીઓને બીજો ડોઝ અને અન્ય વયજૂથના મળીને સમગ્રતયા ૧૧ કરોડ ર૦ લાખ ૫૬ હજારથી વધુ વેક્સિન ડોઝ આપી મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવવામાં આવી છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી 

Related posts

Leave a Comment