દાંતા તાલુકાના મોટાસડા ખાતે એલ.કે.બારડ દ્વારા આયોજીત માતૃ-પિતૃ વંદના કાર્યક્રમમાં મંત્રી કિરીટસિંહ રાણાની પ્રેરક ઉપસ્થિતિ

હિન્દ ન્યુઝ, દાંતા

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટાસડા ખાતે એલ. કે. બારડ દ્વારા આયોજીત માતૃ-પિતૃ વંદના કાર્યક્રમમાં વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરીઓ વિભાગના મંત્રી કિરીટસિંહ રાણાએ ઉપસ્થિત રહી બારડના વયોવૃધ્ધ માતા-પિતાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. એલ.કે.બારડના માતૃ સમુબા કચરસિંહ બારડ અને પિતા કચરસિંહ હરીસિંહ બારડના જીવતરાના આ કાર્યક્રમ નિમિત્તે યોજાયેલ લોક ડાયરામાં લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવી મોજ કરાવી હતી. સમગ્ર મોટાસડા ગામ અને બાવન આટા રાજપૂત સમાજના ભાઇ-બહેનોએ ડાયરાને મનભરીને માણ્યો હતો. આ પ્રસંગે મંત્રી કિરીટસિંહ રાણાએ પ્રાસંગીક પ્રવચન કરતા જણાવ્યું કે, માતા-પિતાના આપણી ઉપર એટલા બધા ઉપકારો હોય છે કે, તેમનું ઋણ કયારેય ચુકવી શકાતુ નથી. તેમણે એલ.કે.બારડ પરિવારને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, માતા-પિતાની હયાતીમાં જીવતરાના આ કાર્યક્રમથી માતા-પિતાના આશીર્વાદ પ્રાપ્‍ત થશે અને સમાજને ખુબ મોટી પ્રેરણા મળશે. તેમણે કહ્યું કે, મારા માટે સૌભાગ્યની વાત છે કે આજે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો છે. એલ.કે.બારડ પરિવાર અને આ ગામના લોકોએ હું આ જિલ્લાનો હોઉં તેવો સ્નેહ અને પ્રેમ મારી ઉપર વરસાવ્યો છે તેનો હું સદાય ઋણી રહીશ તેમ તેમણે જણાવ્યું હતુ. મંત્રી કિરીટસિંહ રાણાએ કહ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમૃધ્ધ અને શક્તિશાળી રાષ્‍ટ્રનું નિર્માણ થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે, વર્તમાનમાં રશિયા- યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુધ્ધને પરિણામે સર્જાયેલી સ્થિતિને કારણે ભારત અને ગુજરાતના વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. આ સ્થિતિમાં ‘ઓપરેશન ગંગા’ દ્વારા વિદ્યાર્થીઓને સલામત રીતે સ્વદેશ પરત લાવવાની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સલામત રીતે શાંતિથી ભારત આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ પરિસ્થિતિ પર નજર રાખી કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં રહીને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. આ પ્રસંગે સંસદ સભ્ય પરબતભાઇ પટેલે એલ.કે.બારડની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવતા જણાવ્યું કે, આદ્યશક્તિ મા અંબાના જ્યાં બેસણા છે તેવા દાંતા તાલુકાના અંતરીયાળ વિસ્તારના બાળકોને સારૂ શિક્ષણ મળે તે માટે બારડ શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે. તેમણે કહ્યું કે, સામાજિક કાર્યક્રમો અને શિક્ષણ આપણને આગળ વધવા માટે પ્રેરણા આપે છે. સાંસદએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું શાસન આવ્યા પછી દેશમાં વિકાસની ગતિ તેજ રફતારથી આગળ વધી રહી છે. આજે દાંતા સહિતના ટ્રાયબલ વિસ્તારમાં સારા રસ્તા, પીવાના પાણીની સુવિધા, સિંચાઇ માટે ચેકડેમોની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાઇ છે.

હવે દેશની નદીઓને જોડીને સૂકા વિસ્તારોમાં પાણી પહોંચાડવાનું આયોજન આ સરકારે કર્યુ છે જેનાથી વિકાસને વેગ મળશે. આ પ્રસંગે માતૃ-પિતૃ કાર્યક્રમના યજમાન અને દાંતા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ એલ.કે.બારડે જણાવ્યું કે, આજે મારા માતા-પિતાના આશીર્વાદથી મને સમાજની સેવા કરવાનો અમૂલ્ય અવસર મળ્યો છે. તેમણે યુવાનોને સંબોધતા કહ્યું કે, સખત પરિશ્રમથી સફળતાની સીડીઓ ચડી શકાય છે. હું સખત પરિશ્રમ થકી જ આગળ આવ્યો છું. તેમણે યુવાનોને વ્યસનો દૂર રહેવા અને સમાજ સેવામાં અગ્રેસર રહેવા આહવાન કર્યુ હતુ.

આ પ્રસંગે પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, અગ્રણીઓ સર્વ જયરાજસિંહ પરમાર, ગુમાનસિંહ ચૌહાણ, માધુભાઇ રાણા, વસંતભાઇ રાવલ, દશરથસિંહ સોલંકી, સાગરભાઇ ચૌધરી, રાજદીપસિંહ જાડેજા, ર્ડા. સંજય ચૌધરી સહિત આગેવાનો, જિલ્લા શિક્ષણાધિકારી ર્ડા. નરેન્દ્રસિંહ ચાવડા સહિત વન વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો.

Related posts

Leave a Comment