હિન્દ ન્યુઝ, સુરત
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે સુરતના ખજોદ ખાતે ‘ડ્રીમ સિટી’ પ્રોજેક્ટ હેઠળ આકાર લઈ રહેલા રાજ્યના મહત્વાકાંક્ષી પ્રકલ્પ ‘સુરત ડાયમંડ બુર્સ’ની મુલાકાત લીધી હતી. તેમણે અહીં બુર્સની કોર કમિટીના સભ્યો-હોદ્દેદારો અને હીરા વ્યવસાયીઓ પાસેથી પૂર્ણતાના આરે પહોંચેલા આ પ્રોજેક્ટની પ્રગતિની વિગતો મેળવી હતી અને અંતિમ તબક્કાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રકશનની કામગીરી નિહાળી હતી. આ પ્રસંગે શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, પાંચ વર્ષ પહેલાં સુરતના હીરા ઉદ્યોગકારોએ જોયેલું ડાયમંડ બુર્સનું સ્વપ્ન સાકાર થવાં જઈ રહ્યું છે.

ગુજરાત સરકારે જમીન સહિતની પાયાની જરૂરિયાતો પૂરી પાડતાં સુરત-ગુજરાતનું સીમાચિહ્નરૂપ બુર્સ હવે નિર્માણના અંતિમ તબક્કામાં છે. આ બુર્સ સાકાર થવાથી સુરતમાં હીરાનું મોટા પાયે ખરીદ-વેચાણ થશે, જેનો સીધો લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાની સાથે હજારો લોકોને રોજગારીના અવસરો પણ મળશે. તેમણે વધુમાં કહ્યું કે, આ સામાન્ય બિલ્ડીંગ માત્ર નથી, પણ ઈકોફ્રેન્ડલી કન્સેપ્ટને અનુસરતું આઈકોનિક સેન્ટર છે. અહીં નીકળતા કચરા, વેસ્ટ વોટરને રિયુઝ કરીને પુન: વપરાશ કરવામાં આવશે. સમગ્ર બુર્સમાં ઠંડી અને ગરમીને સંતુલિત કરી શકે તેવી અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે.

ડાયમંડ વેપારીઓને સુરતમાં વિશ્વ કક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર મળતા દેશવિદેશમાં સુરતનું નામ ડાયમંડ ટ્રેડિંગમાં ઉચ્ચ શિખરે પહોંચશે એમ જણાવી રાજ્યપાલએ સુરત ડાયમંડ બુર્સ પ્રગતિના શિખરો સર કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ વેળાએ રાજ્યપાલએ ‘સુરત ડાયમંડ બુર્સ’ સંબંધિત શોર્ટ ફિલ્મ નિહાળી હતી. આ પ્રસંગે સુરત ડાયમંડ બુર્સના ડિરેકટર મથુરભાઈ સવાણીએ ૩૬ એકરની વિશાળ જગ્યામાં આકાર લઈ રહેલાં ડાયમંડ બુર્સના અંતિમ તબક્કાના નિર્માણની વિગતો આપતાં કહ્યું કે, ટૂંક સમયમાં લોકાર્પિત થનાર સુરતના આ ડાયમંડ બુર્સમાં આવીને દુનિયાના વ્યાપારીઓ પોલિશ્ડ ડાયમંડની ખરીદી કરશે. ટૂંકા ગાળામાં ઝડપભેર બાંધકામ કરવામાં રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓના સહયોગનો ઉલ્લેખ કરી તેમણે ડાયમંડ બુર્સ કાર્યરત થતાં ડાયમંડ ટ્રેડિંગ ક્ષેત્રમાં સુરત મોખરે રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મેયર શ્રીમતી હેમાલી બોઘાવાલા, જિલ્લા કલેકટર આયુષ ઓક, મ્યુ.કમિશનર બંછાનિધિ પાની, પ્રાંત અધિકારી જી.વી. મિયાણી, ડાયમંડ બુર્સના ડિરેક્ટર અને પદ્મશ્રી મથુરભાઈ સવાણી, ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ લખાણી, અગ્રણી ઉદ્યોગપતિ સર્વ લાલજીભાઈ પટેલ, ચંદ્રકાન્તભાઈ સંઘવી, બુર્સ કમિટીના સભ્યઓ તેમજ હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.



