કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી કોઇ બહાર ના નીકળે એ માટે દાહોદ ટાઉન પોલીસ દ્વારા ગોઠવાયેલો સખત બંદોબસ્ત

દાહોદ,

દાહોદમાં એક કરતા વધુ કોરોના વાયરસના કેસ મળવાના કારણે કન્ટેઇન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલા જૂના વણકર વાસ અને ઘાંચીવાડમાં રહેતા અન્ય નાગરિકોને રોજબરોજની જરૂરિયાતની કોઇ તકલીફ ના પડે એવી વ્યવસ્થા સ્થાનિક નગરપાલિકા અને દાહોદ ટાઉન પોલીસ તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે.
આ વિસ્તારમાંથી કોરોના વાયરસનો જેવો પ્રથમ કેસ મળ્યો કે તુરંત જ નગરપાલિકાના મુખ્ય અધિકારી અતુલ સિંહા તથા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર વસંત પટેલે આરોગ્ય વિભાગને સાથે રાખી કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી આરંભી દીધી હતી અને જૂના વણકરવાસમાંથી ૬૩ અને ઘાંચીવાડમાંથી ૧૧ મળી કુલ ૭૪ વ્યક્તિને સરકારી ક્વોરોન્ટાઇન કરી દીધી હતી.
કલેક્ટર વિજય ખરાડી દ્વારા આ વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવતાની સાથે જ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો. કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી કોઇ બહાર ના નીકળે કે અંદરના પ્રવેશે એ માટે થઇ ટાઉન પોલીસ દ્વારા ૨૪ કલાકનો બંદોબસ્ત ત્યાં ગોઠવવામાં આવ્યો છે.
નગરપાલિકા દ્વારા કન્ટેઇન્મેન્ટ ઝોન બહાર રોજ સવારમાં શાકભાજીના વિતરણની વ્યવસ્થા સામાજિક અંતર જાળવીને કરવામાં આવે છે. ઝોન અંદર રહેલા પરિવારો પોતાની જરૂરિયાત મુજબની શાકભાજી સ્વખર્ચે ત્યાંથી લઇ જાય છે. ઉપરાંત, રાશનની પણ આ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે.

નગરપાલિકા દ્વારા ઝોનની અંદરના વિસ્તારોમાં રોજેરોજ ડિસઇન્ફેક્ટશનની કામગીરી કરવામાં આવે છે. નગરપાલિકાના કર્મચારીઓ અંદર જઇ વિવિધ મકાનો તથા શેરીગલીઓને કેમિકલયુક્ત પાણીનો છંટકાવ કરીને જીવાણુંમુક્ત કરી રહ્યા છે.

રીપોર્ટર : વિજય બચ્ચાની, દાહોદ

Related posts

Leave a Comment