હિન્દ ન્યુઝ, સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લામાં આગામી ૨૪ ફેબ્રુઆરીએ ગરીબ કલ્યાણ મેળો યોજાશે. આ મેળાની પૂર્વ તૈયારી અંગે જિલ્લા સમાહર્તા હિતેષ કોયાની અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડમાં બેઠક યોજાઇ. રાજ્ય સરકારના ગરીબી ઉન્મૂલન માટેના મહત્વાકાંક્ષી ગરીબ કલ્યાણ મેળામાં છેવાડાના ગરીબ વ્યક્તિને તેનો લાભ મળી રહે તે માટેનુ ખાસ આયોજન થાય તે માટે રાજ્યની સંવેદનશીલ સરકાર સતત સક્રિય રહીને લાભાર્થીને યોજનાકીય લાભ આપવા આગામી ૨૪,૨૫,૨૬ ફેબ્રુઆરીએ સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે. જેમાં સાબરકાંઠા જિલ્લાનો જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ૨૪ ફેબ્રુઆરીના યોજાશે. આ ગરીબ કલ્યાણ મેળામાં ગામડાના જરૂરિયાતમંદ લાભાર્થીઓને અગ્રતા આપી એક મંચ પરથી વિવિધ યોજનાકીય સાધન સહાયથી ગરીબ લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવશે. દરેક અમલીકરણ અધિકારીઓએ ખાસ રસ લઈ પોતાના વિભાગની યોજનાઓના લાભાર્થીઓની યાદી તૈયાર કરી આ મેળા થકી વધુમાં વધુ લાભાર્થીઓને સરકારી સહાય મળી રહે તે જોવા કલેક્ટરએ અધિકારીઓને અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર મોદી, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડામોર, નાયબ વનસંરક્ષક સુ કનકબા, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. રાજેશ પટેલ અન્ય અમલીકરણ અધિકારીઓ અને પ્રાત અધિકારીઓ વિડિયો કોન્ફરસીંગથી ઉપસ્થિત રહ્યા હતા.
