પાટણ શહેરના દીનદયાળ ઔષધાલયોની મુલાકાત લેતાં જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા

હિન્દ ન્યુઝ, પાટણ

કોરોના સંક્રમણને અટકાવવા નાગરિકોને ઝડપી સારવાર મળી રહે તે માટે જિલ્લા કલેકટર સુપ્રીત સિંઘ ગુલાટીના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાના નેતૃત્વમાં આરોગ્ય તંત્રએ સુચારૂ વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. જે અંતર્ગત શરૂ કરવામાં આવેલા દીનદયાળ ઔષધાલયની જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી હતી. પાટણ શહેરમાં નવ સ્થળોએ દીનદયાળ ઔષધાલય અને સાત સ્થળોએ જનતા ક્લિનિક શરૂ કરવામાં આવ્યા છે. જેમાં જનરલ ચેક-અપ, કોરોના એન્ટીજન અને આર.ટી.પી.સી.આર. ટેસ્ટ તથા રસીકરણ સહિત આરોગ્ય સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સાથે જ નાગરિકોને આવશ્યક દવાઓનું નિઃશુલ્ક વિતરણ અને સારવાર આપવામાં આવી રહી છે. શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ નિઃશુલ્ક દવાની કીટ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. પાટણ નગરજનોમાં આ સેવાઓનો હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાએ વોર્ડ ઓફિસ, વિ.કે. ભુલા શાળા પાસે તેમજ રેડક્રોસ સહિતના સ્થળોએ દીનદયાળ ઔષધાલયની મુલાકાત લઈ આરોગ્ય વિભાગની ટીમ સાથે કામગીરીની સમીક્ષા પણ કરી હતી.

સાથે જ ડૉક્ટર્સ અને આરોગ્યની ટીમને અભિનંદન પાઠવી આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીએ જનતા ક્લિનિક થકી સમયસર પ્રાથમિક સારવાર ઉપલબ્ધ થવાના કારણે હોસ્પિટલાઈઝેશનનો દર ઘટ્યો હોવાનું જણાવી જિલ્લા વહિવટી તંત્રને સહયોગ આપી ટીમ વર્કથી કોરોના સંક્રમણ સામે સમયસર અસરકારક પગલા લઈ શકાયા તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓની કામગીરીને પણ બિરદાવી હતી. નગરજનોએ પણ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ વહિવટી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી આરોગ્ય સેવાઓ અંગે હકારાત્મક પ્રતિભાવો આપ્યા હતા.

Related posts

Leave a Comment