મતદાન મથકો ઉપર તથા તેની નજીકના વિસ્તારોમાં મતદાનના દિવસે પ્રચાર કરવા તથા અડચણ થતી અટકાવવા તથા વ્યવસ્થા જાળવવા અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ

હિન્દ ન્યુઝ, ભાવનગર

આગામી ગ્રામ પંચાયત ચુંટણી -૨૦૨૧ સંદર્ભે ચુંટણીના મુક્ત, ન્યાયી અને સરળ સંચાલન માટે તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે મતદાન મથકમાં અડચણ અટકાવવા તથા તેની નજીક પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવો જરૂરી જણાતા જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ -૧૯૭૩ ની કલમ -૧૪૪ થી મળેલ સત્તાની રૂઈએ જાહેરનામું બહાર પાડેલ છે. જેમાં જણાવ્યા અનુસાર ભાવનગર જિલ્લાના ગ્રામ પંચાયતોની ચુંટણી સંદર્ભે નિયત થયેલ મતદાનના દિવસે મતદાન મથકની અંદર તથા મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં આવેલ વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ મત માટે પ્રચાર કરવો, કોઈ મતદારોને મત આપવા આગ્રહપુર્વક વિનંતી કરવી, અમુક ઉમેદવારને મત ન આપવા માટે કોઈ મતદારને સમજાવવા, કોઈ મતદારને ચુંટણીમાં મત ન આપવા સમજાવવા, મતદારોને ધાક – ધમકી આપીને કે રંજાડીને મતદાન કરવા જતાં અટકાવવા, ચુંટણીને લગતી (સરકારી નોટીસ સિવાયની) કોઈ નોટીસ કે નિશાની પ્રદર્શિત કરવી, સેલ્યુલર/મોબાઈલ ફોન, કોડલેસ ફોન, પેજર, વાયરલેસ સેટ અને અન્ય વિજાણું સંદેશા વ્યવહારના સાધનો લઈ જવા, વાહન સાથે આવવું, મતદાન મથકમાં મતદાર ઉમેદવાર/ચુંટણી એજન્ટ તથા ચુંટણી પંચે અધિકૃત કરેલ વ્યક્તિ સિવાયની વ્યક્તિએ પ્રવેશ કરવો, મતદારે પોતાનો મત આપ્યા પછી મતદાન મથક તથા તેનાં વિસ્તાર ન છોડી અડચણ ઉભી કરવી વગેરે કૃત્યો કરી શકાશે નહી/
કાયદો અને વ્યવસ્થાના ઈન્ચાર્જ અધિકારીઓ અને મતદાન મથક નજીક ફરજ ઉપર મુકેલ સલામતી કર્મચારીઓ, રાજ્ય ચુંટણી આયોગે નિમેલ નિરીક્ષકો અને ચુંટણી ફરજ પરના અધિકારીઓ સહિતના મતદાનની ફરજોનો હવાલો ધરાવતા અધિકારીઓ/કર્મચારીઓને બાબત લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો અમલ ભાવનગર જિલ્લાના ગ્રામ પંચાયતોની ચુંટણીમાં સમાવિષ્ટ થતા વિસ્તાર મટે કરવાનો રહેશે. આ જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ -૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment