હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લામાં સેવા સેતુના સાતમો તબક્કાનો કાર્યક્રમ મહુવા તાલુકાનાં વાઘનગર ગામ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ રાજ્યમંત્રી આર.સી.મકવાણાની અધ્યક્ષતામાં યોજાયો હતો. રાજ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારની સહાયથી એક પણ લાભાર્થી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. સેવા સેતુએ અમારા માટે શાસન માટેની પ્રતિબદ્ધતાનો દ્યોતક છે. પારદર્શી રીતે સંવેદનશીલતાથી લોકોને સેવા પૂરી પાડવી એ અમારા માટે સેવા કરવાનો ઉપક્રમ છે. આ અગાઉ યોજાયેલાં સેવા સેતુ કાર્યક્રમમાં લાખો લોકોને ઘર આંગણે રાશન કાર્ડ, આધાર કાર્ડ, વિધવા સહાય, આવકનો દાખલો વગેરે જેવી સેવાઓ પૂરી પાડી છે. મંત્રીએ સામાન્ય નાગરિકની જેમ પોતાના બ્લડ-પ્રેશરનું ચેકિંગ કરાવી પોતાની સાદગીનો પરિચય આપ્યો હતો. તેમને તેમ કરતાં જોઇને અન્ય લોકો પણ પોતાનો ડર દૂર કરતાં પોતાનું હેલ્થ ચેક અપ કરાવ્યું હતું. તેમણે ઉભા કરવામાં આવેલાં વિવિધ સ્ટોલોની મુલાકાત લઇ આપવામાં આવતી સેવાઓ વિશેની તલસ્પર્શી માહિતી પણ મેળવી હતી. તેમણે લોકોને સરળતાથી તમામ સેવાઓ પૂરી પાડવાં માટેનું માર્ગદર્શન પણ કર્મચારીઓને પૂરું પાડ્યું હતું. તેમણે કહ્યું કે, બીમારી ક્યારે આવે તેની આપણને ખબર હોતી નથી, પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે રાજ્ય સરકાર તમારી પડખે ઉભી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કોરોના સામેની લડાઈ લડતાં દેશના સો કરોડ નાગરિકોને કોરોનાની રસી આપવાની ભારતે સિદ્ધિ મેળવી છે તે આનંદની વાત છે તેમ જણાવ્યું હતું.
ભાવનગર જિલ્લાના મોટા ભાગના ગામો દરિયાકિનારે આવેલા છે.જેને લીધે ક્ષારવાળા પાણીને લીધે મોટી ઉંમરના લોકોને સાંધાના દુઃખાવાની ફરિયાદો રહેતી હોય છે. આવી બધી બીમારીઓ સમયસર રસી ન લેવાની અજ્ઞાનતાને કારણે થાય છે. આવું ન થાય તે માટે આપણે પી.એમ. મા જય કાર્ડ કઢાવી લેવું જોઈએ અને આ કાર્ડ કાઢી આપવાં માટે સરકાર આપના આંગણે આવી છે.ત્યારે તેનો તેનો મહત્તમ લાભ લેવો જોઇએ તેમ તેમણે જણાવ્યું હતું.
આ તકે મહુવા નાયબ કલેકટરએ જણાવ્યું હતું કે, આ સાતમાં તબક્કાનાં સેવાસેતુ કાર્યક્રમ થકી આજે વાઘનગર ખાતે રાજ્ય સરકારની ૫૬ સેવાઓ પૂરી પાડવામાં આવનાર છે. વધુમાં તેમણે રસીકરણ ન કરાવેલ હોય તેવાં લોકોને રસીકરણ કરાવી લેવાં. તેમજ જેમણે બીજો ડોઝ ન લીધો હોય તેવાં લોકોને બીજો ડોઝ લઇ લેવાં અપીલ કરી કોરોના સામેની લડાઇમાં જોડાવાં હાકલ કરી હતી. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, મામલતદાર- મહુવા, તાલુકા વિકાસ અધિકારી- મહુવા સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ અને આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી