જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગર દ્વારા જિલ્લાની મસ્જિદો ખાતે કાનૂની જાગૃતતા કાર્યક્રમ તથા કાનૂની શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર

              નાલ્સા તથા સાલ્સાના સંયુક્ત ઉપક્રમે તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગરના ચેરમેન આર. ટી. વાચ્છાણીના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લાની વિવિધ મસ્જીદો ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ- પાન ઇન્ડિયા અવેરનેસ અને આઉટરીચ કેમ્પેઇનના ભાગરૂપે જિલ્લાના શહેર તથા તમામ તાલુકાઓની વિવિધ મસ્જિદોમાં કાનૂની જાગૃતિ કાર્યક્રમો તથા શિબિર યોજાઇ હતી. આ શિબિરમાં લઘુમતી સમાજના લોકોને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગર દ્વારા આપવામાં આવતી મફત કાનૂની સહાય તથા મીડિયેશન તથા લોક અદાલતની કાર્યવાહીની સમજ આપવામાં આવી હતી.
ભાવનગર જિલ્લાની કેટલીક મસ્જિદોમાં આજે જુમ્માની નમાઝમાં સમાજના પછાત, વંચિત તથા છેવાડાના નાગરિકોને ન્યાય મળી રહે તે માટે વિવિધ પ્રાર્થના કરવામાં આવી હતી. ડી.એલ.એસ.એ., ભાવનગરના કાનૂની જાગૃતતા કાર્યક્રમથી લઘુમતી સમાજના લોકોને મફત તથા સક્ષમ કાનૂની સહાય તથા મીડિયેશન
તથા લોક અદાલતની કાર્યવાહીનો પરિચય આપીને તેમને કાયદાકીય જ્ઞાન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ દ્વારા પણ કાયદાકીય જાગૃતતા શિબિર યોજવામાં આવી હતી. આ અગાઉ બગદાણા ખાતે બાપા સીતારામ મંદિર તથા પાલીતાણા જૈન મંદિર ખાતે તેમજ ખોડિયાર માતાજીના મંદિર ખાતે પણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગર દ્વારા કાનૂની શિબિર તથા કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલાં છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં કાનૂની જાગૃતિ માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અને શિબિરનું આયોજન કરવામાં આવેલું છે તેમ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને સભ્ય પાન ઇન્ડિયા અવેરનેસ અને આઉટરીચ કાર્યક્રમ, ડી.એલ.એસ.એ., ભાવનગરની
અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment