હિન્દ ન્યુઝ, મોરબી
મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મીટીંગ હોલ ખાતે શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને મોરબી અને માળીયા વિસ્તારના સિંચાઇ માટેના પાણીના પ્રશ્નો અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે જિલ્લાના ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી સરળતાથી મળી રહે તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે. જિલ્લાના ખેડૂતોને રવિપાકના સમયે નિયમિત અને પુરતા પ્રમાણમાં નર્મદા કેનાલ મારફત સિંચાઇ માટેનું પાણી મળી રહે તેવા પ્રકારનું આયોજન છે. જે ગામો સિંચાઇ માટે નર્મદાના પાણીથી વંચિત છે તેવા ગામોમાં પણ સિંચાઇ માટેનું પાણી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહયા છે. મંત્રીએ વધુમાં રવિપાકની સિઝન સમયે કેનાલ મારફત આપવામાં આવનાર પાણી સંદર્ભે કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે કેનાલ સફાઇ કામગીરી તાત્કાલિક હાથ ધરી સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ કરવા સબંધિત વિભાગના અધિકારીઓને તાકિદ કરી હતી. તેમણે ચોમાસા દરમિયાન વધારે વરસાદના લીધે કેનાલમાંથી બહાર નિકળતા પાણીના કારણે ખેતીની જમીનને થતા નુકસાનને અટકાવવા જરૂરી સ્થળોએ એસકેએફ મુકી આવી પરિસ્થિતિનો કાયમી નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવા પણ વધુમાં જણાવ્યું હતું. તેમણે આ ઉપરાંત મચ્છુ-૩ ડેમનો કમાન્ડ વિસ્તાર વધારનું આયોજન કરવાની કામગરી સહિત કુંડી, સાયફન, એસકેએફ જેવી બાકી રહેતી કામગીરી સત્વરે પૂર્ણ કરવા ઉપિસ્થિત અધિકારીઓને સુચના આપી હતી. આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા, નર્મદા જળસંપત્તિ વિભાગ ગાંધીનગરના સ્પેશ્યલ સેક્રેટરી એમ.પી. રાવલ, અધિક્ષક ઇજનેરો સર્વ આર.એમ. મકવાણા, વાય.જે. પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, અધિકારીઓ- પદાધિકારીઓ સહિત મોરબી- માળીયા વિસ્તારના ખેડૂતો, ઉપસ્થિત રહયા હતાં.
રિપોર્ટર : વિષ્ણુ મજેઠીયા, મોરબી