ભાવનગરના સિહોર તાલુકાનાં ઘાંઘળી ગામના દર્શનના જીવનમાં રંગ પૂરતો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, ભાવનગર

રાજ્ય સરકાર દ્વારા અનેક કલ્યાણકારી કાર્યક્રમો ચલાવવામાં આવે છે. જેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે છે. તાજેતરમાં રાજ્ય સરકારને પાંચ વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષ્યમાં નવ દિવસીય અનુષ્ઠાનરૂપ સેવા યજ્ઞ યોજાયો હતો. જેમાં ૪૮ લાખ લોકોને સીધી કે આડકતરી રીતે લાભ થયો છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો હેઠળ કામ ચાલુ જ હોય છે પરંતુ જે-તે વિભાગનાં કર્મચારીઓ- અધિકારીઓ તેમાં વિશેષ રસ દાખવે તો તેના સુંદર પરિણામ આવતાં હોય છે. રાજ્ય સરકારની પારદર્શક નીતિ અને કર્મચારીની નિષ્ડાનો સુભગ સમન્વયનો લાભ સામાન્ય જનતાને મળે છે. તેનાથી લોકોને પણ આવાં કામો સરકારની યોજના દ્વારા મફત થાય છેતેની માહિતી મળતી હોય છે. તાજેતરમાં આવો જ દાખલો આરોગ્ય વિભાગ દ્વારા સુંદર કામગીરીનો જોવાં મળ્યો. ભાવનગરના સિહોર તાલુકાના ઘાંઘળી ગામમાં ચાર વર્ષ પહેલાં જન્મેલ દર્શનને નાનપણથી સાંભળવાની તકલીફ હતી. તેની જાણકારી તેના પિતા રોહિતભાઈ ગોહિલને ત્યારે મળી કે જ્યારે તે મોટો થયો છતાં તેમની વાતનો કોઇ પ્રતિભાવ આપતો ન હતો. આ બાબતે તેમણે સ્થાનિક ફિમેલ હેલ્થ વર્કર સુનિતાબેન ભટ્ટને બતાવ્યું હતું. ત્યારબાદ ફર્ક ન જણાતાં ભાવનગર અને ત્યારબાદ અમદાવાદ બતાવ્યું હતું. પરંતુ દર્શનની પરિસ્થિતિમાં કોઇ ફેરફારના દર્શન થતાં ન હતાં. સુનિતાબેન ભટ્ટ દ્વારા આ બાબતે બાળ સ્વાસ્થ્યની ડોક્ટરની ટીમ ડો.સંજયભાઈ ખીમણી, ડો.રૂપલબેન વૈષ્ણવને જાણ કરતાં વર્ષઃ૨૦૧૯ થી સંદર્ભ કાર્ડ, રીફર, ફોલોઅપ કરી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અન્વયે જરૂરી સૂચના- મદદ વગેરે પૂરી પાડી હતી. પરંતુ તાજેતરમાં જ રાજ્યમંત્રી સુ. વિભાવરીબેન દવેની વિશેષ ઉપસ્થિતિમાં કેન્સર હોસ્પિટલનાં ઉદઘાટન પ્રસંગે સર ટી. હોસ્પિટલમાં આંખ, કાન અને ગળાનો નવો વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યાં મંત્રીની ઉપસ્થિતિમાં જ કોકલીયર ઇમ્લાન્ટના બે બાળકોનાં ઓપરેશન કરીને તેની શરૂઆત કરવામાં આવી હતી. તેમાં એક બાળક દર્શન પણ હતો. સામાન્ય રીતે આ ઓપરેશન બહાર કરાવો તો રૂા. ૭ લાખ જેટલો ખર્ચ થતો હોય છે. આ ઉપરાંત તેને ત્યારબાદ આપવી પડતી સ્પીચ થેરાપી વગેરે માટે પણ વધુ ખર્ચ થતો હોય છે. પરંતુ સર ટી. હોસ્પિટલ ખાતે આ તમામ સગવડ તથા ઓપરેશન એકપણ રૂપિયો લીધા વગર કરવામાં આવે છે. આરોગ્યની ટીમની મહેનત તથા વાલીની સમયસરની જાણકારીને લીધે સમયસર તેનું ઓપરેશન સફળ રીતે થતાં દર્શન હવે અન્ય બાળકની જેમ સાંભળતો થયો છે. એટલે જ ગુજરાતના મુખ્યમંત્રી તેમના જાહેર વક્તવ્યમાં કહેતા હોય છે કે આ જાડી ચામડીની સરકાર નથી. આ ઋજુ સરકાર છે. સંવેદનશીલ સરકાર છે. આવાં અંતરીયાળ ગામડાના બાળકને આટલી મોંધી સારવાર જે- તે નજીકના સ્થળે મળે તે માટેની આરોગ્ય માળખા સાથેની વ્યવસ્થાઓ સરકારે કરી છે. જેથી દર્શન જેવાં અનેક દર્શનને આ વિશ્વના દર્શન કરવાનો, જગત સાથે ફરીથી સંવાદ કરવાનો મોકો મળ્યો છે. દર્શનનાં સતત ફોલોઅપમાં ડો.સંજયભાઈ ખીમણી, ડો.રૂપલબેન વૈષ્ણવ, આરોગ્ય કર્મચારી રાહુલભાઈ સોલંકી, આરતીબેન મકવાણા, આશાફેસી મીનાબેન આંચલ, આશા વિમળાબેન ગોહિલે જહેમત ઉઠાવી હતી. ભાવનગર જિલ્લા પંચાયતના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય વિભાગનાં જીતેન્દ્રભાઈ ગજ્જર, નિપુલભાઈ ગોંડલિયા દ્વારા ખૂબ જ મહેનત કરાઈ હતી. આ કાર્ય બદલ તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઇ વાકાણી, તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિત, હસુમતીબેન ગોહિલે ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં. આમ, આરોગ્ય વિભાગની સતર્કતા અને સંવેદનશીલ કામગીરીને લઇને દર્શન હવે અન્ય સામાન્ય બાળકની જેમ બોલતો થયો છે. દર્શનનાં પિતા રોહિતભાઈ ગોહિલે રાજ્ય સરકારની આવી કામગીરીના ભરપેટ વખાણ કરી કહ્યું કે, આવા ઓપરેશન કરાવવાના આટલાં નાણા ગામડાના માણસ પાસે ક્યાંથી હોય. રાજ્ય સરકારને કારણે જ દર્શન આજે બોલતો થયો છે. દર્શન જ્યારે મને સંબોધીને બોલે છે ત્યારે તેને વર્ણન કરવાના શબ્દો મારી પાસે નથી હોતાં કે એક પિતા તરીકે મને કેટલો આનંદ થાય છે. આમ, ઘાંઘળી ગામના દર્શનના જીવનમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમે નવાં રંગ પૂર્યા છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment