‘શહેરી જન સુખાકારી દિવસ’- પાંચ વર્ષના પ્રજાલક્ષી સેવા યજ્ઞનો આઠમો દિવસ

હિન્દ ન્યુઝ, ભાવનગર

તા.૧લી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ‘સુશાસનના પાંચ વર્ષ’ ના સુશાસનના સેવાયજ્ઞના કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. તે અંતર્ગત આજે આ કડીના આઠમા દિવસે ભાવનગર જિલ્લામાં ‘શહેરી જનસુખાકારી દિવસ’ અંતર્ગત ભાવનગરના ‘ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ’ સરદારનગર ખાતે આ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. અધ્યક્ષસ્થાનેથી ભાવનગરના મેયર શ્રીમતી કિર્તીબેન દાણીધરીયાએ જણાવ્યું કે, અગાઉ વિકાસ માટે સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરવી પડતી હતી. જ્યારે આ સરકાર સામેથી ગ્રાન્ટનો કેમ ઉપયોગ નથી કર્યો તે અંગેનો હિસાબ માંગે છે. એટલે એ દ્રષ્ટીએ રાજ્યના નગરોના વિકાસ માટે રાજ્ય સરકાર ચિંતિત અને કટિબધ્ધ છે તેની પ્રતિતી થાય છે.

આ અંગે તેમણે વધુમાં ઉમેર્યું કે, આ સરકારે એટલો વિકાસ કર્યો છે કે તમે બહાર નિકળીને નજર કરો તો તમારી આસપાસ તમને વિકાસ નજર આવ્યાં સિવાય રહેશે નહીં. તેમણે ઉમેર્યું કે, ભાવનગરના વિકાસ માટે જ્યારે જરૂર પડી ત્યારે રાજ્ય સરકારે નાણાની આપૂર્તિ કરીને લોક વિકાસનું કોઇ કાર્ય ન રોકાય તેવી સંવેદનશીલતાથી કાર્ય કર્યું છે.
ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ આ અવસરે જણાવ્યું કે, આ સરકારે નાણાકીય શિસ્ત જાળવીને પણ રાજ્યમાં માનવ વિકાસનો સૂચકાંક ઉચો આવે તેવાં કાર્યો કર્યા છે.

બાગ-બગીચા, ગટર, પાણી, લાઇટ આમ માનવજીવનને જરૂરી તમામ માનવજીવનના વધુ સગવડો ઉભી થાય તે માટેની કોઇ કચાશ રાખી નથી અને એટલે લોકોએ છેલ્લાં ૨૫ વર્ષથી અમારી સરકાર પર ભરોસો મૂક્યો છે.
આ સરકારે નેવાના પાણી મોંભે ચડાવવાં જેવાં અશક્ય લાગતાં કાર્યો સફળતાથી અમલમાં મૂકી બતાવ્યાં છે તેનું ઉદાહરણ બોર તળાવમાં નર્મદાનું આવેલ પાણી છે. ક્યાં નર્મદા મૈયા અને ક્યાં ભાવનગર છતાં ત્યાંથી સમગ્ર સૌરાષ્ટ્રમાં કે જ્યાં પાણીની અછત રહેતી હતી ત્યાં આ પાણીને પહોંચાડ્યાં છે. આ કંઇ સહેલું કાર્ય નથી સરકારે દ્રઢ ઇચ્છા શક્તિથી આ કાર્ય કરી બતાવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જે પદચિહ્નો કંડાર્યો છે તેના પદચિહ્નો પર ચાલીને વર્તમાન સરકારે સફળતાપૂર્વક પાંચ વર્ષ પૂર્ણ કર્યો છે તે અવસરે રાજ્યભરમાં અસંખ્ય કાર્યક્રમો કરીને હજારો કરોડના વિકાસ કાર્યો લોકોના ચરણે ધર્યા છે.

ભાવનગરને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી યોજના તળે વિકાસ માટે રૂા. ૩૪ કરોડની ગ્રાન્ટ મળી છે. જેને આજે મેયર અને ધારાસભ્યએ અર્પણ કરવામાં આવ્યાં હતાં.

મેયર કિર્તીબેન દાણીધરીયા અને ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીના હસ્તે ભાવનગરના કુંભારવાડા ખાતે રૂા. ૩ કરોડના ખર્ચે બનેલ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું, બોર તળાવ ખાતે રૂા. ૭.૨૧ કરોડના ખર્ચે બનેલ બાલવાટિકાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો ૨૦૦ સફાઇકર્મીઓને અન્વાયરો કંપની દ્વારા ૨૦૦ નંગ હેલ્થ કીટ આપવામાં આવી હતી.

આ પ્રસંગે ડેપ્યુટી મેયર કૃણાલકુમાર શાહ, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, દંડક પંકજસિંહ ગોહિલ, મ્યુનિસિપલ કમિશ્નર એમ.એ.ગાંધી સહિતનાં પદાધિકારીઓ-મહાનુભાવો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment