ભરૂચ અને ખેડા જિલ્લાના રૂા.૧૫૮ કરોડના ત્રણ વિકાસ કામોનું ગાંધીનગરથી વર્ચ્યુઅલી ખાતમૂર્હુત અને લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી

હિન્દ ન્યૂઝ, નડિયાદ

   ભરૂચ ખાતેના ‘‘નર્મદા મૈયા બ્રીજ’’નું ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે. રાજ્યભરમાં રૂા.૧૫ થી ૧૭ હજાર કરોડના માર્ગ-મકાન વિભાગના વિવિધ કામો વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ કોરોનાના કપરાકાળમાં પણ રાજ્યની વણથંભી વિકાસયાત્રાને અટકવા દીધી નથી. ગડખોલ ખાતે રૂા.૮૪ કરોડના ખર્ચે નિર્મિત રેલ્વે ઓવરબ્રીજનું અને રૂા. ૧.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ઉમરેઠ સરકીટ હાઉસનું લોકાર્પણ રૂા.૭૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર ડાકોર જંકશન ફલાયઓવર બ્રિજનું ભૂમિપૂજન.

 નાયબ મુખ્યમંત્રી અને માર્ગ-મકાન વિભાગ મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ’ના મંત્રને ચરિતાર્થ કરીને જનસુખાકારીના વિકાસ કામો થકી પ્રજાનો વધુને વધુ વિશ્વાસ સંપાદિત કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્યમાં કોરોનાના કપરાકાળમાં પણ રાજ્યની વણથંભી વિકાસયાત્રાને અટકવા દીધી નથી અને હાલ સમગ્ર રાજ્યમાં રૂા.૧૫ થી ૧૭ હજાર કરોડના માર્ગ-મકાન વિભાગના કામો વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ છે. ભરૂચ ખાતેના નર્મદા મૈયા બ્રીજનું ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે.

  આજે ભરૂચ અને ખેડા જિલ્લાના રૂા.૧૫૦ કરોડના ત્રણ વિકાસ કામોનું ગાંધીનગરથી વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમુર્હૂત કરતા નાયબ મુખ્ય મંત્રી પટેલે ઉમેર્યું કે, ઔદ્યોગિક ક્ષેત્રે મહત્વનો એવા ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ખાતેના ગડખોલ ખાતે રૂા.૮૪ કરોડના ખર્ચે ઓવરબ્રીજના નિર્માણથી આ વિસ્તારના લોકોને તથા વાહનવ્યવહારને સરળતા થશે અને સમય તથા ઇંધણની પણ બચત થશે. એ જ રીતે પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે લાખો શ્રદ્ધાળુઓ રાજા રણછોડરાયના દર્શને આવતા હોય છે ત્યારે ડાકોર જંકશન ખાતે જે વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા હતી તેના નિયંત્રણ માટે રૂા.૭૩ કરોડના ખર્ચે ફલાયઓવર બ્રિજનું નિર્માણ કરાશે. જેના પરિણામે ટ્રાફિકના પ્રશ્નો હલ થશે તેમજ ઉમરેઠ ખાતે રૂા.૧.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત સરકીટ હાઉસ પણ લોકો માટે ઉપયોગી નીવડશે. 

  નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ભૂતકાળમાં ન થયા હોય એવા અદ્યતન સુવિધાઓ સાથેના અદ્દભૂત વિકાસકામો અમારી સરકાર મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ કરી રહી છે. જેના પરિણામે રાજ્યના નાગરિકોની સુવિધાઓમાં વધારો થઇ રહ્યો છે. એ જ રીતે ગામડાઓમાં કાચા રસ્તાને પાકા રસ્તા બનાવવા માટે મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મોટાભાગના ગામડાંઓને આવરી લેવાયા છે. જેના નિર્માણથી ગ્રામ્યસ્તરે પણ પરિવહનની સુવિધાઓ વધુ સુદૃઢ બનશે.

  તેમણે ઉમેર્યું કે, ભરૂચ જિલ્લામાં મીઠા પાણીનો સોર્સ પ્રાપ્ત થાય એ માટે ભાડભૂત બેરેજની કામગીરી પણ ચાલુ કરી દીધી છે તથા અંકલેશ્વર-રાજપીપળાના માર્ગનું રૂા.૧૦૦ કરોડના કામ માટે પણ ટેન્ડર મંજૂર કરી દેવાયું છે અને ભરૂચ-શ્રવણ ચોકડી પાસે પણ ટ્રાફિકનું નિવારણ થાય એ હેતુસર ઓવરબ્રીજના નિર્માણ માટે ડી.પી.આર. બનાવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવાઇ છે. જેના પરિણામે અંકલેશ્વર અને આસપાસના વિસ્તારની ટ્રાફિક સમસ્યા હલ થશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, અંકલેશ્વર તાલુકાના ગડખોલ ખાતે રૂા.૮૪ કરોડના ખર્ચે નિર્મિત નવીન ચાર માર્ગીય ૧૧૦૦ મીટર લંબાઇના આધુનિક રેલવે ઓવરબ્રીજ પરથી દૈનિક ૧૦૦ થી ૧૫૦ ટ્રેનો પસાર થતી હોવાના કારણે જે ટ્રાફિક સમસ્યા હતી એ દૂર થશે અને આસપાસના અંદાડા, સામોર, માંડવા, કોસિયા, સુરવાડી તથા અંકલેશ્વર શહેરના નાગરિકોને ટ્રાફિક સમસ્યામાં રાહત થશે. એ જ રીતે ડાકોર જંકશન પર રૂા. ૭૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર ફલાય ઓવર બ્રીજમાં કપડવંજ, સેવાલીયા અને ઉમરેઠ તરફ સર્વિસ રોડની જોગવાઇ કરાઇ છે. ખેડાની બેઠકના સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યુ હતુ કે, નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા ડાકોર ખાતેની ફલાય ઓવરબ્રીજની માંગણી સંતોષી રૂા.૫૯.૨૮ કરોડના ખર્ચ મંજૂરી આપવામાં આવી છે. ફ્લાય ઓવર બનતા ડાકોર ખાતેની ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવશે જેનો લાભ લાખો યાત્રાળુઓને મળશે. ડાકોરમાં તમામ સુવિધાથી સજ્જ સિવિલ હોસ્પિટલ અને માળખાકીય સુવિધાઓમાં પણ આવનારા ૨૦ વર્ષને ધ્યાને રાખીને કરવામાં આવી રહયો છે. તેમજ ડાકોરને અન્‍ય મોટા શહેરો સાથે જોડતા રસ્‍તાઓ ઉપર આવતી રેલ્વે ટ્રેક પર નાનો ઓવરબ્રીજની મંજુરી પણ માંગવામાં આવી રહી છે. જેથી ટ્રાફિકની અડચણો સત્વરે દૂર કરી શકાય. તેઓએ ડાકોરના વિકાસ માટે રાજય સરકારનો અને નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલનો આભાર વ્‍યક્ત કર્યો હતો. આ પ્રસંગે તેઓએ જણાવ્‍યું હતું કે, ખેડા જિલ્‍લા માટે નાયબ મુખ્‍યમંત્રીએ મુખ્‍યમંત્રી ગ્રામ સડક યોજના અન્‍વયે રૂા. ૯ કરોડના રસ્‍તાના કામો પણ તાજેતરમાં મંજૂર કરેલ હોવાથી ગ્રામ્ય કક્ષાએ પણ રોડનું કામ ચાલુ થઇ જશે.
આણંદ બેઠકના સાંસદ મિતેષભાઇએ જણાવ્યુ હતું કે, વડા પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમીતભાઇ શાહની રાહબરી હેઠળ ગુજરાત સરકાર મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલની આગેવાની હેઠળ ગુજરાત ખુબ જ વિકસતુ ગયુ છે અને અવિરત થતા વિકાસનો અમને ગર્વ છે. આ પ્રસંગે તેઓએ ઉમરેઠ ખાતે નવીન વિશ્રામગૃહનું લોકાપર્ણ કરવા બદલ રાજય સરકારનો આભાર વ્‍યકત કર્યો હતો. પંચમહાલ બેઠકના સાંસદ રતનસિંહએ જણાવ્‍યું હતું કે, સમગ્ર વિશ્ર્વમાં લોકપ્રિય એવા ડાકોર યાત્રાધામ ખાતે ઓવરબ્રીજનું નિર્માણ થતા દેશ-વિદેશના કરોડો યાત્રાળુઓની સુવિધામાં અનેક ધણો વધારો થશે. આ બ્રીજના કારણે શહેરમાં ટ્રાફિકનું ભારણ ઓછું થશે અને યાત્રાળુઓ સરળતાથી મંદિરે પહોંચી ભગવાનના દર્શન કરી શકશે.
ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌંહાણ, ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર અને ધારાસભ્ય કાન્‍તિભાઇ પરમારે ડાકોર અને ઉમરેઠને માળખાકિય સુવિધા પુરી પાડવા બદલ નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલ અને રાજય સરકારનો આભાર વ્‍યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ગાંધીનગર ખાતેથી સ્વાગત પ્રવચન માર્ગ-મકાન વિભાગના સચિવ સંદીપ વસાવાએ કર્યું હતું. આ વેળાએ માર્ગ-મકાન વિભાગના મુખ્ય ઇજનેર એન. કે. પટેલ, પટેલીયા અને જિલ્લા મથકોએ પદાધિકારીઓ અને સ્થાનિક વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જયારે ડાકોર મુકામે આણંદ જિલ્‍લા પંચાયતના પ્રમુખશ્રીમતી હંસાબેન પરમાર, નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા, અમદાવાદ સર્કલના માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર વસાવા, પ્રાંત અધિકારી સહિત માર્ગ અને મકાન વિભાગના ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment