સરકારી હોસ્પિટલની સેવાથી ૫૫ દિવસે સરકારી કર્મચારી કોરોનામાંથી બેઠાં થયાં

હિન્દ ન્યૂઝ, ભાવનગર 

    રાજ્યમાં કોરોના મહામારીની બીજી લહેરની ગતિ ધીમી પડી છે. ફ્રન્ટલાઈન કોરોના યોદ્ધાઓએ કરેલી અવિરત મહેનતથી કોરોના કેસોની સામે દર્દીઓની ડિસ્ચાર્જની સંખ્યા ધીમે-ધીમે વધી રહી છે. આવી જ લાંબી સારવાર બાદ ડિસ્ચાર્જ થયેલાં ભાવનગર જિલ્લા પંચાયતના માર્ગ-મકાન વિભાગના વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં ૫૩ વર્ષીય પંકજભાઈ હરગોવિંદભાઈ દવેએ રસીના બંને ડોઝ લીધા બાદ કોરોના પોઝિટિવ આવતાં અને ૪૦ ટકા ઓક્સિજન લેવલ સાથે ફેફસાંમાં ૯૦ થી ૯૫ ટકા સંક્રમણ હોવા છતાં ૫૫ દિવસની લાંબી સારવાર બાદ સર ટી. હોસ્પિટલના બીછાનેથી કોરોનાને મ્હાત આપી બેઠાં થયાં છે. બે મહિના પહેલા ભાવનગર જિલ્લા પંચાયતમાં એકસાથે ૩૫ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યાં હતાં. તેમાં મૂળ ગારિયાધારના વતની પંકજભાઈ હરગોવિંદભાઈ દવે પણ હતાં. આ સમયે સમગ્ર જિલ્લા પંચાયતને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરીને બંધ કરવામાં આવી હતી. કોરોના વોરિયર તરીકે તેમણે કોરોના રસીના બંન્ને ડોઝ લીધા બાદ તા.૭ મી એપ્રિલના રોજ ઉધરસ આવતા કોવિડ ટેસ્ટ કરાયો, જે પોઝિટીવ આવ્યો. હોમ આઇસોલેટ બાદ શ્વાસ લેવામાં ખૂબ સમસ્યા હોવાથી તેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં. પરંતુ ઓક્સિજન લેવલ ૪૦ સુધી ઘટી ગયેલું હોવાથી તેઓને તા.૧૧ એપ્રિલના રોજ ગારિયાધારથી એમ્બ્યુલન્સ મારફત વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં. જ્યાં તેમની સ્થિતિ જોઈને તેમણે બાયપેપ પર રાખવામાં આવ્યાં.

૮-૧૦ દિવસની સારવાર બાદ તબિયતમાં સુધારો આવતાં ૨૪ એપ્રિલ ના રોજ તેમને એન.આર.બી.એમ પર રાખવામાં આવ્યા. તા.૨૬ એપ્રિલના રોજ જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા. ત્યાં રાત્રે એકાએક તબિયત બગડતા ફરી આઇ.સી.યુ. માં દાખલ કરવામાં આવ્યા અને ફરીથી બાયપેપ પર રાખવામાં આવ્યાં.vતેમને ૯૦ થી ૯૫ ટકા ફેફસાંનું ઇન્ફેક્શન હતું. આ સાથે તેમનું ડી-ડાયમર ૫૦૦૦ થી ૬૦૦૦ અને ઓક્સિજન લેવલ ૬૦ ટકા જેટલું હતું. જેથી તેમને બાયપેપ પર રાખવામાં આવ્યા. દરમિયાન તેમને રેમડેસિવીર સહિતની સારવાર આપવામાં આવતાં તબીબોની સારવાર અને પંકજભાઈની મનની મક્કમતાના લીધે તેમની તબિયતમાં ધીમે ધીમે સુધારો આવી રહ્યો હતો.
જેથી સિવિલમાં દાખલ કરાયાના ૩૦ દિવસ બાદ તેમને ૧૫ લિટર ઓક્સિજન સાથે એન.આર.બી.એમ. પર રાખવામાં આવ્યા. સર ટી. હોસ્પિટલના ડોક્ટરો દ્વારા સારવારની સાથે માનસિક રીતે મજબૂત કરવાં કાઉન્સેલિંગ તેમજ એકસરસાઈઝ, ચેસ્ટ ફિઝીયોથેરાપી સહિતની સારવાર આપવા છતાં તેમનો ઓક્સિજન લેવલ સુધરતું નહોતું.

   આ રીતે સતત ૪૫ દિવસ સુધી સારવાર આપ્યા બાદ સી.ટી. સ્કેન કરવામાં આવ્યું તો પણ પંકજભાઈના ફેફસામાં ઇન્ફેક્શન દૂર થતું નહોતું.જેથી પરિવાર અને સારવાર કરતાં તબીબોની ટીમ પણ નિરાશા અનુભવતી હતી.
પરંતુ પંકજભાઈની આંતરિક શક્તિ અને કુદરતની મહેરબાની અને સર ટી. હોસ્પિટલની સતત સેવા સુશ્રુષાને કારણે બીજા ૮ દિવસની સારવારમાં પંકજભાઈના ઓક્સિજના લેવલમાં સુધારો થયો અને ફરી સીટી સ્કેન કરતાં તેમા ૨૫/૧૫ પોઇન્ટનો રિપોર્ટ આવ્યો. પરિવાર તેમજ તબીબોમાં જુસ્સો વધ્યો અને સારવારમાં ધીમે ધીમે સુધારો થયો અને અંતે ૫૪ દિવસની સારવારના અંતે ઓક્સિજન લેવલ ૯૦ આસપાસ આવતાં તેમને વોકિંગ કરાવવામાં આવ્યું તો પણ વાંધો ન આવ્યો.

   પંકજભાઈની તબિયતમાં નોંધપાત્ર સુધારો હોવાથી નોર્મલ ૧ લીટર ઓક્સિજન પર રાખવામાં આવ્યાં. પરિવારની વિનંતીથી અને સંપૂર્ણ સ્વસ્થ થઈ જવાથી ૫૫ દિવસની સારવાર બાદ તા.૪ જૂન ના રોજ તેમને સર ટી. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સર ટી હોસ્પિટલના તબીબો તેમજ પેરામેડિકલ સ્ટાફમાં એસો.પ્રોફેસર એનેસ્થેસિયા ડો.લોપાબેન ત્રિવેદી, ડો.કોમલબેન શાહ, ડો.શિલ્પાબેન દોશી, ડો.ચંદ્રિકાબેન પંડ્યા, ડો.ચૈતાલી બેન શાહ, ડો.વનરાજ ચૌહાણ અને મેડિસિન વિભાગના ડો સુનિલ પંજવાણી, ડો.પન્ના કામદાર, અલ્પેશ વોરા, ઇલા હડિયલ, પંકજ અમોલકર, કૃણાલ તલસાણીયા, જિજ્ઞાબેન દવે, નિશાદ ગોગદાની, રેસી.ડોકટરો, વોર્ડ બોય, નર્સિંગ સ્ટાફ સહિતનાઓની કાળજીભરી સારવાર કરી કોરોના સંક્રમણથી બચાવ્યા હતાં.

આ તકે પેશન્ટ પંકજભાઈ દવેએ સરકારી હોસ્પિટલનો આભાર માનતાં જણાવ્યું હતું કે, સર ટી. હોસ્પિટલમાં મને જે સારવાર મળી છે તે કદાચ બહારની ખાનગી હોસ્પિટલમાં મળી ન હોત.
સર ટી. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. જયેશ બ્રહ્મભટ્ટ અને તેમની સમગ્ર ટીમનો હું આભાર માનું છું. તેઓની મહેનતના કારણે આજે હું મોતના મુખમાંથી પાછો આવ્યો છું. આ માટે હું આ કોરોના વોરીયર્સનો ખૂબ-ખૂબ આભાર માનું છું. તેઓ આ પૃથ્વી પરના વાસ્તવમાં દેવદૂત છે. હું મારી નવી જિંદગી પામ્યો તે માટે આ કોરોના વારિયર્સનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે તેમ તેમણે ગળગળા શ્વરે જણાવ્યું હતું.

બ્યુરોચીફ (ભાવનગર): હકીમ ઝવેરી

Related posts

Leave a Comment