ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ભાવનગરના આશા વર્કર આરતીબેન બટુકભાઇ જોષીનું પ્રમાણપત્ર આપી સન્માન

હિન્દ ન્યૂઝ, ભાવનગર

      ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષઃ ૨૦૨૦-૨૦૨૧ ના વર્ષ માટે આયુષ્માન ભારત- હેલ્થ અને વેલનેશ સેન્ટર દ્વારા વ્યાપક પ્રાથમિક સ્વાસ્થ્ય સેવાઓને મજબૂત બનાવવાં માટેની વિશિષ્ટ કામગીરી કરવાં માટે ભાવનગરના આશા વર્કર આરતીબેન બટુકભાઇ જોષીનું પ્રમાણપત્ર આપી માટે સન્માન કરવામાં આવ્યું છે.
     આયુષ્માન ભારત યોજનાને એક વર્ષ થવાના ઉપલક્ષ્યમાં સમગ્ર રાષ્ટ્રમાં આ યોજનામાં મહત્વપૂર્ણ કામગીરી કરનાર આશા વર્કરોને આ પ્રમાણપત્ર આપીને તેમના કામને મહત્વ આપવા માટે આ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવે છે. જિલ્લા વિકાસ અધિકારી વરૂણ બરનવાલે આ સિધ્ધિ માટે જણાવ્યું કે, ભાવનગરની આરોગ્ય સિધ્ધિની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઇ છે તે ભાવનગર માટે ગર્વની બાબત છે. તેનાથી ભાવનગરની આરોગ્ય સેવાને વધુ એક માન્યતા મળી છે. 

    આશાવર્કર માટે આ પ્રમાણપત્ર ખૂબ જ અગત્યનું છે. એમાંય જ્યારે રાષ્ટ્રીય કક્ષાએથી આવું સન્માન થતું હોય ત્યારે ભાવેણાં માટેના આ ગર્વની બાબત છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ પ્રમાણપત્ર મેળવનાર આરતીબેન બટુકભાઇ જોષી કહે છે કે, મારે મન મારા દર્દીઓની સેવા એ જ મારી આરતી અને આરત છે. ૫૬ વર્ષની ઉંમરે પણ યુવાનોને શરમાવે તેવા ઉમંગ અને ઉત્સાહથી તેઓ તેમની કામગીરી કરે છે. છેલ્લા ૧૧ વર્ષથી આરોગ્ય વિભાગ સાથે જોડાયેલાં આરતીબેનના સસરા ડોક્ટર હતાં અને તેમના પતિ પણ આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલાં છે. તેથી તેઓ આ ક્ષેત્રથી સારી રીતે પરિચિત હતાં. તેમના પતિ દ્વારા પણ આ માટેનું પ્રોત્સાહન મળે છે. જેથી તેઓ તેમની કામગીરી વધુ સારી રીતે કરી શકે છે તેમ તેઓ વધુમાં ઉમેરે છે.
તળાજા તાલુકાના ઉંચડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત શ્રીમતી આરતીબેનના પ્રયાસોથી ગામની દેવીપૂજક સમાજની બહેનો કે સમાજની વ્યાપક ગેરમાન્યતાઓને કારણે જેઓ પ્રસૂતિ કે ગાયનેક સમસ્યાઓ વખતે દવાખાને આવતી નહોતી તે હવે તેમની સમજાવટથી આવવાં લાગી છે. આ રીતે એક આગવો બદલાવ લાવવાનું કાર્ય તેઓએ કર્યું છે. આ રીતે તેઓ છેલ્લાં એક વર્ષમાં ૨૨ સફળ પ્રસૂતિઓ કરાવી ચૂક્યાં છે.
    દર્દીઓની સમસ્યાઓમાં મદદ કરવાં હંમેશા તત્પર રહેતાં આરતીબેન આવી મહિલાઓના પ્રસૂતિના છેલ્લાં સમયે હાજર રહી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જઇને સફળ પ્રસૂતિઓ કરાવી છે. તો થોડી વધુ સમસ્યાઓ વખતે મોટી હોસ્પિટલમાં લઇ જઇ પોતે આવી મહિલાઓ સાથે રહી હિંમત આપી છે. આ માટે આરતીબેને કામના કલાકો કરતાં પરિસ્થિતિને વધુ મહત્વ આપ્યું છે. તેના કારણે દેવીપૂજક સમાજની બહેનો હવે તેમની વાત માનીને આરોગ્ય સેવાઓ લેવાં આવતી થઇ છે. આરતીબેન આવી મહિલાઓની પ્રથમ મહિનાથી જ કાળજી રાખી આયર્ન, ફોલિક એસીડની ટેબ્લેટ આપવાથી માંડીને શું કરવું, શું કાળજી રાખવી વગેરે વિશેની જાણકારી આપી સતત ફોલો અપ લઇ માતા અને બાળક બંનેની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે પ્રયત્નશીલ રહે છે. લાભાર્થીનો સંતોષ એ જ તેમનો પુરસ્કાર છે તેમ જણાવતાં એક વખતનો પ્રસંગ જણાવતાં કહે છે કે, એક વખત તળાજામાં એક મહિલાને પ્રસૂતિ વખતે બાળકનો માથાનો ભાગ મોટો હોવાને કારણે પ્રસૂતિમાં બહુ તકલીફ પડેલી તે વખતે રાત્રે મુશ્કેલ પરિસ્થિતિમાં મહિલાને ટેમ્પો વડે મોટી હોસ્પિટલમાં લઇ ગયાં હતાં. તે વખતે વિપરિત પરિસ્થિતિમાંથી મહિલાને બચાવી હતી. આ મહિલાને બચાવ્યાં બાદ આ મહિલાનો પતિ મને પગમાં પડી ગયો હતો અને કહ્યું હતું કે, જો તમે ન હોત તો મારી પત્ની બચી ન હોત. તેના જવાબમાં આરતીબેને કહ્યું હતું કે, આ મારી ફરજ છે અને લાભાર્થીનો સંતોષ એ જ મારું ઇનામ છે આવા, પ્રસંગોને કારણે જ સ્થાનિક લોકો આજે તેમની વાત ગંભીરતાથી માનતાં થયાં છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ ઉપરાંત તેઓએ ઉંચડી ખાતે કુલ-૯૨૭ CBAK ફોર્મ ભરવાની કામગીરી કરીને કેન્સરના ૧-દર્દી, ડાયાબિટીસના ૩૨-દર્દીને સમયસર શોધી સારવાર અપાવી છે. તેઓએ ટી.એલ-૬૬, સંસ્થાકીય પ્રસૂતિ-૨૨, સ્લાઇડ કલેકશન-૧૨૦, કોરોના પોઝિટિવ પેશન્ટ રિફર-૧૮, કોવિડ વેક્સિનેશન-૫૮, જે.એસ.વાય.ના કુલ-૪૨ લાભાર્થીઓને લાભ અપાવેલ છે. કોપર ટી-૧૧ લાભાર્થી, જોખમી-૬ માતાને સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવવાની કામગીરી પણ કરી છે.
    ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ભાવનગર જિલ્લામાં ૪૭-પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૧૫૩-સબ સેન્ટર મળી કુલ-૨૦૪ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે કાર્યાન્વિત કરવામાં આવેલ છે. આ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં નોન કોમ્યુનીકેબલ ડીસીઝ (એન.સી.ડી.) અંતર્ગત ડાયાબીટી, હાઇપરટેન્શન, કેન્સરના રોગોના વ્યક્તિઓને શોધી તેમને સમયસર સારવાર મળી શકે તે માટે ૩૦ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓનું CBAK ફોર્મ ભરવામાં આવે છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ 

Related posts

Leave a Comment