સુરત (હજીરા)થી દીવ વચ્ચે શરૂ થશે ક્રુઝ ફેસેલીટી

હિન્દ ન્યૂઝ, સુરત

          સુરતનાં હજીરા પોર્ટ (એસ્સાર પોર્ટ)થી દીવ વચ્ચે ‘ક્રુઝ’ સેવાની શરૂઆત કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ (સ્વ.હ)મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે તા.૩૧.૩.૨૦૨૧ના રોજ સાંજે ૪:૩૦ કલાકે હજીરા ખાતેથી વર્ચ્યુઅલી કરવામાં આવશે. દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરાથી ઉપડીને ક્રુઝ બીજા દિવસે સવારે દીવ આવશે તથા તે જ દિવસે સાંજે દીવ થી ઉપડીને તેના પછીના દિવસે સવારે હજીરા પરત ફરશે. એક બાજુની મુસાફરી માટે અંદાજે ૧૩ થી ૧૪ કલાકનો સમય લાગશે. ૩૦૦ પેસેન્જરની કેપેસીટી ધરાવતા આ ક્રુઝમાં ૧૬ જેટલી કેબીન પણ આવેલી છે. આ ક્રુઝ અઠવાડીયામાં દીવની બે રાઉન્ડ ટ્રીપ કરશે, તથા શુક્રવાર, શનિવાર અને રવિવારનાં દિવસે સુરત હાઇ-સીમાં મુસાફરી કરાવશે.

           આ ક્રુઝ ગેમીંગ લાઉન્જ, વી.આઈ.પી. લાઉન્જ, એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક વિગેરે આધુનિક સુવિધાઓથી સજ્જ છે. ચાર માસ પૂર્વે જ માન. પ્રધાનમંત્રીશ્રીનાં હસ્તે ‘હજીરા-ધોધા’ રો-પેક્સ સેવાની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી છે. માત્ર ૪ માસમાં ૧ લાખથી વધુ પેસેન્જર્સ તથા હજ્જારો વાહનો દ્વારા આ સેવાનો લાભ લીધેલ છે. આ સેવાની ભવ્ય સફળતા બાદ હજીરાથી દીવ માટેનાં ક્રુઝ સેવાની શરૂઆત કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયાનાં હસ્તે તા.૩૧.૩.૨૦૨૧નાં રોજ વર્ચ્યુઅલી કરવામાં આવી રહેલ છે. તેવું એક અખબારી યાદીમાં જણાવેલ છે.

 

Related posts

Leave a Comment