હિન્દ ન્યૂઝ, માણાવદર
પ્રભુ શ્રી રામચંદ્રજીના ભવ્ય મંદિરનું નિર્માણ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે થઈ રહ્યું છે ત્યારે સમગ્ર દેશની હિન્દુ જનતાનાં ઘરે ઘરે જઈ નિધિ એકત્રીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ અનુસંધાને માણાવદરના પૂ.પા. ગોસ્વામી શ્રીમાન પરાગકુમારજી મહોદયશ્રીની ઉપસ્થિતિમાં એક ભવ્ય ધર્મસભાનું આયોજન માણાવદર ખાતે કરવામાં આવેલ હતું. આ ધર્મ સભામાં શ્રીમાન પરાગકુમારજી મહોદય શ્રી એ તમામ હિન્દુ અને વૈષ્ણવોને શ્રીરામ મંદિરના નિર્માણમાં પોતાનું યથાયોગ્ય યોગદાન સમર્પિત કરવું જોઈએ તેમજ દરેક હિન્દુઓએ ધર્મ અને જાતિના વાડા ભૂલી સનાતન હિન્દુ ધર્મનું આચરણ કરવું જોઈએ. મર્યાદા પ્રતીક સમા રાષ્ટ્રીય મંદિર એવા શ્રીરામ મંદિરના નિર્માણની કામગીરીમાં જોડાવું જોઈએ દરેક જન પોતપોતાની યથાશક્તિ પ્રમાણે આ મર્યાદા સંપ્રદાયમાં સહકાર આપે તેજ ઈચ્છનીય છે. આવું આહવાન મહોદયશ્રીએ પોતાનાં વચનામૃતમાં કર્યું હતું. માણાવદરના ભામાશા એવા શ્રી આશીર્વાદ એન્ફ્રાલિકના ડાયરેક્ટર નારણભાઈ સોલંકી આ તકે રૂપિયા ૫,૫૫ પ૫૫/- નું સમર્પણ અર્પિત કરેલ હતું, તેમજ કારાભાઈ મેલવાણીએ પોતાનું રૂ. ૨૫૦૦૦/- નું અનુદાન આપેલ, અનેક દાતાશ્રીઓએ દ્વારા રૂ. ૧૧,૧૧૧/- નું સમર્પણ કરવામાં આવેલ જેઓને મહોદયશ્રીએ ખુશી ભેટ આપી સન્માનિત કર્યા હતા. આ રીતે ઘણા લોકોએ પોતપોતાના સમર્પણ નિધિનો ધોધ વહાવ્યો હતો. આ ધર્મસભામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જૂનાગઢના અશોકભાઈ પૈડા, નરોત્તમભાઈ રાવલ, મહેશભાઈ સોનપાલ, વિશ્વ હિન્દુ પરિષદ કેશોદના અશ્વિનસિંહ રાયજાદા, ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ મનોજભાઈ ગોહેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ધર્મસભાના આયોજનમાં માણાવદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના કાર્યવાહ ગોવિંદભાઈ ડઢાણીયા, નયનભાઈ પીઠડીયા, નીલેશભાઈ દેત્રોજા, દક્ષેશભાઈ ભોજાણી, નિમિષભાઈ રાવલ, પ્રભુદાસભાઈ ડાભી તેમજ સર્વોત્તમ સેવા સંસ્થાન ના જીતુભાઈ દેકીવાડીયા તેમજ તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. આ તકે સેવાનો લાભ લીધો હતો અને પુણ્યનું ભાથ્થુ બન્યું હતું.
રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, માણાવદર