અરવલ્લી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ઉપક્રમે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

અરવલ્લી,

અરવલ્લી ખાતે સી.જી.બુટાલા હાઇસ્કૂલ ખાતે પોલીસ આવાસ નિગમ ચેરમેન ડી.ડી. પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન સમારોહમાં સારસ્વતોને સંબોધતા જણાવ્યું હતું કે, પ્રામાણિકતા, નિષ્ઠા અને ચોક્કસ ધ્યેય સાથે જ્યારે કોઈ કર્મ કરવામાં આવે છે ત્યારે તેનું ઉત્તમ ફળ ચોક્કસ મળે છે.
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં શિક્ષક દિન ઉજવવામાં આવે છે. તેમના ઉચ્ચ શૈક્ષણિક જીવન-કવનમાંથી તમામ શિક્ષકોને શ્રેષ્ઠ આપવાની પ્રેરણા મળી રહે છે, તેમ ચેરમેનએ ઉમેર્યું હતું. વધુમાં રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધે અને શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ બહાર આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ વિધાર્થી ઘડતરના કાર્યો હાથ ધરવામાં આવે છે. જેમાં શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, જ્ઞાનકુંજ, સર્વ શિક્ષા અભિયાન સહિત વિવિધ અભિયાનો થકી શાળાઓમાં વિદ્યાર્થીઓના અભ્યાસનું સ્તર ઊંચું આવે તે દિશામાં રાજ્ય સરકાર કાર્યરત છે. તેમણે જણાવ્યું કે આજે જે શિક્ષકોનું સન્માન થઇ રહ્યુ છે તે શ્રેષ્ઠતાનું સન્માન છે. તેમણે વિધાર્થીઓમાં સંસકારનું સિંચન અને સમાજ ઘડતરનું કામ કરે એ જ સાચો શિક્ષક છે. તેમણે ઉમેર્યુ હતું કે, શ્રેષ્ઠતાનું સન્માન થાય ત્યારે આનંદની લાગણી જરૂર થાય છે તેની સાથે આપણી જવાબદારી પણ વધી જાય છે, શ્રેષ્ઠત્તમ કઇ રીતે કરી શકાય. વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે શિક્ષકની શ્રેષ્ઠતાની સુવાસ ના કે તે શાળા કે ગામ સુધી સિમિત રહે પરંતુ તેની મહેંક આસપાસના વિસ્તારોમાં પ્રસરે એ જરૂરી છે. તેમણે શાળાને સરસ્વતીના મંદિર તરીકે પૂજનીય બને તેના પર ભાર મુક્યો હતો. આ પ્રસંગે શ્રેષ્ઠ સારસ્વતોનું પુરસ્કાર, શાલ તેમજ પ્રમાણપત્ર મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે બાયડના ધારાસભ્ય જશુભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ સુભાષભાઇ શાહ, જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અનિલ ધામેલીયા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી ગાયત્રીબેન પટેલ, પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી સ્મિતાબેન પટેલ, સહિત શિક્ષણ વિભાગના અધિકારી-કર્મીઓ તેમજ સારસ્વતમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : મુકેશ પ્રજાપતિ, અરવલ્લી

Related posts

Leave a Comment