હિન્દ ન્યુઝ, ભુજ
આજરોજ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને કચ્છમાં જિલ્લામાં આગામી સમયમાં યોજાનારા હર ઘર તિરંગા-૨૦૨૬ કાર્યક્રમના આયોજનને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા આગામી ૯ થી ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન સમગ્ર રાજ્યમાં ‘હર ઘર તિરંગા અભિયાન-૨૦૨૬’નું વ્યાપક આયોજન કરવામાં આવશે. જે હેઠળ કચ્છમાં પણ ગાંધીધામ ખાતે જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા તથા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરાશે.
કચ્છ કલેક્ટરએ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને ગ્રામ્યથી લઈને જિલ્લાકક્ષા સુધી સરકારની સૂચના અન્વયે તિરંગા યાત્રા, તિરંગા બાઇક, સાઇકલ કે ઇ-બાઇક રેલીના આયોજન તથા સેલ્ફી વીથ તિરંગા ડિજિટલ અભિયાન, વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી બાબતે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. તિરંગા યાત્રા સાથે જ શાળા કોલેજમાં ક્વિઝ, વકતૃત્વ સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવા જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું. હર ઘર તિરંગા અભિયાનમાં નાગરિકો મહત્તમ સંખ્યામાં જોડાય તે રીતે જનભાગીદારીથી આયોજન કરવા તેમજ હર ઘર તિરંગા અભિયાન વિવિધ કાર્યક્રમોમાં જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ, સરકારી સંસ્થાઓ, કચ્છમાં સ્થિત વિવિધ લશ્કરી પાંખોના યુનિટ, સ્વૈચ્છિક સંસ્થાઓ, એનજીઓ, સામાજિક સંસ્થાઓને સાથે રાખવા જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું.
હર ઘર તિરંગા અભિયાન- વંદે માતરમના ૧૫૦ વર્ષની થીમ હેઠળ રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ ૯ ઓગષ્ટથી ૧૭ ઓગષ્ટ દરમિયાન ગામડાઓ અને શહેરોની શાળા તથા કોલેજોમાં ખાસ તિરંગા યાત્રાનું આયોજન કરવા, તિરંગા વિતરણ કામગીરી, રસ્તાઓની સફાઈનું આયોજન કરવા બાબત કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. ઉપરાંત ખાસ કરીને સરહદના ૧૦૬ ગામોમાં એકતા અને દેશપ્રેમના માહોલ વચ્ચે નાગરિકો અને જવાનોની સહભાગિતા સાથે તિરંગાયાત્રા યોજવા તથા સરકારી તથા જિલ્લાની ઓળખ ધરાવતા સ્થળોને ત્રિરંગી લાઇટીંગથી સજાવટ કરવા સૂચના આપી હતી.
આ વર્ષે જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા ૧૪ ઓગષ્ટના ગાંધીધામ ખાતે યોજાશે. તિરંગા યાત્રા બાદ વિભાજનની કરૂણ હકીકતો, બલિદાનની સ્મૃતિ અને ખાસ કરીને યુવા પેઢીમાં જાગૃતિ લાવવાના ઉદેશ સાથે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી હેઠળ કેન્ડલ લાઇટ શ્રદ્ધાંજલિ અને શાંતિ માર્ચ યોજાશે. ઉપરાંત તિરંગા અને વંદેમાતરમ પ્રદર્શનનું આયોજન કરાશે.
આ સમગ્ર આયોજનમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, સિક્યોરીટી ફોર્સના જવાનો જોડાશે. યોજાનારી તમામ પ્રવૃત્તિઓને “વંદે માતરમના ૧૫૦ વર્ષ”ની ઉજવણી સાથે સાંકળવામાં આવશે, જેથી સ્વાતંત્ર્ય ચેતના અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ વધુ વ્યાપક રીતે જનમાનસ સુધી પહોંચે.
આ બેઠકમાં ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર બી.ડી.દેવેરા, અધિક કલેક્ટર પ્રણવ વીઠાણી, તમામ પ્રાંત અધિકારીઓ સહિત સંબધિત વિભાગના અધિકારીઓ તથા આગેવાન ધવલ આચાર્ય, હિતેશ ખંડોર, મીત ઠક્કર, બાલકૃષ્ણ મોતા ઉપસ્થિત રહ્યા હતા.
