હિન્દ ન્યુઝ, વલસાડ
વલસાડના શહેરમાં પૂરના કારણે સૌથી વધુ ખાનાખરાબી દાણાબજાર છીપવાડ ખાતે થતા જિલ્લા વહીવટી તંત્ર સર્તક થઈ ગયું હતું. દુકાનોમાં પલળી ગયેલુ અનાજ સડી ન જાય તે માટે યુધ્ધના ધોરણે વલસાડ પાલિકા દ્વારા સફાઈ અભિયાન પૂરજોશમાં હાથ ધરવામાં આવ્યુ છે. જે અંગે સ્થાનિક વેપારીઓએ પાલિકાની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. જે પૈકી એક છીપવાડના મહારાણી ટ્રેડર્સના માલિક મનોજ હસમુખલાલ ભાવસાર જણાવે છે કે, તા. ૨૨ જુલાઈના રોજ સવારથી પૂર અંગે સાવચેતીનો સંદેશ હતો જેથી થોડો ઘણો માલ ઉપર ચઢાવ્યો હતો. અને રાત્રે એટલા બધા ધસમસતા પ્રવાહમાં પૂર આવ્યુ કે, મારી દુકાન ડૂબી ગઈ હતી. માત્ર દુકાનનું બોર્ડ જ દેખાતુ હતું. પૂરના પાણી ઓસર્યાને સવારથી જ પાલિકાની સફાઈ ટીમનો કાફલો દાણાબજારમાં આવી ગયો હતો.
વલસાડ પાલિકાના ચીફ ઓફિસરશ્રી યશપાલસિંહ વાઘેલા ખડેપગે અહીં ઉભા રહી ટીમ પાસે દુકાનમાં બગડેલો માલ બહાર કઢાવી જેસીબી અને ટ્રેકટરમાં સફાઈ કરાવી હતી. આ સમયે પાલિકાના પૂર્વ નગરપાલિકા પ્રમુખશ્રી રાજેશભાઈ ભાનુશાલી પણ ચીફ ઓફિસર વાઘેલા સાથે ઉભા કરી છીપવાડ પહેલા કરતા પણ સ્વચ્છ બને તે માટે હાલમાં પણ પ્રયાસ કરી રહ્યા છે. રોગચાળો ન ફેલાઈ તે માટે વલસાડ નગરપાલિકા દ્વારા ખૂબ જ ઝડપી સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. પાલિકાએ ત્વરિત સફાઈ કરતા હાલમાં છીપવાડમાં લોકોની અવરજવર પણ શક્ય બની છે. નહીંતર અહી કાદવના થર જામેલા હતા. જેનો પાલિકાએ નિકાલ કરી અવરજવર માટેની સુવિધા કરી આપી છે જે બદલ અમે વલસાડ નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર માનીએ છે.
