દાહોદ જિલ્લામાં વસ્તી ગણતરી-૨૦૨૭ ની કામગીરીનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, દાહોદ

   આપણા દેશમાં ભવિષ્યની યોજનાઓ અને વિકાસની રૂપરેખા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે દાહોદ જિલ્લામાં જનગણના-૨૦૨૭ ના પ્રથમ તબક્કાની એટલે કે ઘર યાદીની કામગીરી આગામી તારીખ ૧ જૂન થી ૩૦ જૂન સુધી હાથ ધરવામાં આવનાર છે. આ રાષ્ટ્રીય કામગીરીમાં સહભાગી થવા અને ઓનલાઈન સ્વ-ગણતરી (Self-Enumeration) કરવા દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢાએ દાહોદ જિલ્લાના નાગરિકોને અપીલ કરી છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું છે કે, નાગરિકો જાતે જ પોતાની માહિતી ઓનલાઈન ભરી શકે તે માટે તારીખ ૧૭ મે થી ૩૧ મે સુધી સ્વ-ગણતરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જે અંતર્ગત નાગરિકો સરકારની વેબસાઈટ se.census.gov.in પર લોગીન કરીને પોતાની વિગતો જાતે જ ભરી શકશે. આ ફોર્મ ભર્યા બાદ એક ૧૧ આંકડાનો સ્વ-ગણતરી આઈડી (ID) જનરેટ થશે, જેને સાચવી રાખવાનો રહેશે.

જ્યારે પણ વસ્તી ગણતરીની કામગીરી માટે ગણતરીદાર આપના ઘરે મુલાકાત લે, ત્યારે આ ૧૧ આંકડાનો જનરેટ થયેલો આઈડી તેઓને બતાવવાનો રહેશે. આ પ્રક્રિયાથી કામગીરી વધુ સરળ અને પારદર્શક બનશે.તારીખ ૧ જૂન થી ૩૦ જૂન સુધી ડોર-ટુ-ડોર (ઘરે-ઘરે જઈને) વસ્તી ગણતરીની કામગીરી કરવામાં આવશે. 

જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા એ જિલ્લા વહીવટી તંત્ર વતી તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે કે, રાષ્ટ્રહિતની આ કામગીરીમાં પોતાનું સેલ્ફ એન્યુમેરેશન (સ્વ-ગણતરી) ઓનલાઈન કરી, તેમજ ઘરે આવનાર વસ્તી ગણતરી સ્ટાફને સંપૂર્ણ સહકાર આપી, સાચી અને જરૂરી વિગતો પૂરી પાડીને આ રાષ્ટ્રીય કામગીરીમાં સહભાગી બનીએ.

 

Related posts

Leave a Comment