હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ જિલ્લામાં 111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવતા આણંદ જિલ્લામાં આચારસંહિતા અમલી છે, ત્યારે સામાન્ય દિવસોની સરખામણીમાં કલેકટર કચેરી, ત્રીજા માળે આવેલી ચૂંટણી શાખા હાલ આખો દિવસ અને મોડી રાત સુધી તથા જાહેર રજાના દિવસો દરમિયાન પણ ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની કામગીરીથી ધમધમી રહી છે.
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનો મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલના રોજ યોજાનાર છે, જેને અનુલક્ષીને ઉમરેઠ મતવિસ્તારની ચૂંટણી શાંતિપૂર્ણ, સરળતાથી પૂર્ણ થાય અને વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આણંદ ખાતે આવેલી ચૂંટણી શાખા ધમધમે છે.
ચુંટણી શાખા એ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, ઉમેદવારો, આમ નાગરિકો અને ચૂંટણી તંત્ર વચ્ચે મહત્વની કડી છે. કલેકટર કચેરી આણંદ ખાતે ત્રીજા માળે આવેલી જિલ્લા ચૂંટણી શાખામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાછૂનની રાહબરી હેઠળ 01 મામલતદાર, 03 નાયબ મામલતદાર, 02 ક્લાર્ક, 02 ઓપરેટર અને 02 પટાવાળા જાહેર રજાના દિવસોએ અને ચાલુ દિવસો ખાતે મોડી રાત સુધી કામગીરી કરી રહ્યા છે.જેમાં ચૂંટણી સંબંઘિત રેકર્ડની જાળવણી, મતપેટીઓ, ઇવીએમ, બેલેટ પેપર, પતરાની પેટીઓ, અગાઉની મતદાર યાદીની જાળવણી, મતદાન મથકો માટે ચૂંટણી સામગ્રી સહિત નોડલ અધિકારીઓ, મતદાન અધિકારીઓ, પ્રિસાઈડિંગ, પોલિંગ ઓફિસરો સહિતનો ચૂંટણી સ્ટાફ નિયુક્ત કરવો, ભારતના ચૂંટણી પંચ અને મુખ્ય નિર્વાચન અધિકારીને જરૂરી અહેવાલો મોકલવા, ચૂંટણીલક્ષી તાલીમ, કાયદાકીય જોગવાઇઓ અનુસાર ચૂંટણી દરમ્યાન ન્યાયી અને નિષ્પક્ષ રીતે મતદાન કરાવવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં વિવિધ નોડલ અધિકારીઓ સાથે સંકલન અને નિયમિત રીતે બેઠકો યોજવી, MCMC સેન્ટરના સહયોગથી પેઈડ ન્યૂઝ પર બાજ નજર રાખી કાર્યવાહી કરવી, મતદાન જાગૃતિ- સ્વીપ કામગીરીને વેગ આપવો જેવા વિવિધ પ્રકારના કાર્યો કરવામાં આવી રહ્યા છે.
