હિન્દ ન્યુઝ, સુરત
સરકારી નર્સિંગ કોલેજ ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કે.એન. ચાવડાના અધ્યક્ષસ્થાને B.Sc નર્સિંગના ૧૨મી બેચના વિદ્યાર્થીઓનો ગ્રેજ્યુએશન સેરેમની (પદવીદાન) અને પ્રથમ વર્ષના નૂતન વિદ્યાર્થીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે કુલપતિ ડો.કે.એન. ચાવડાએ પદવી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, કોઈપણ તહેવાર હોય કે કુદરતી આપત્તિ, નર્સિંગ સ્ટાફ હંમેશા સેવામાં અગ્રેસર રહે છે.હોસ્પિટલમાં દર્દી સાથે સૌથી વધુ સમય નર્સિંગ સ્ટાફ જ વિતાવે છે. ડોક્ટર પૂર્વે નર્સિંગ સ્ટાફ જ દર્દીની સંભાળ રાખે છે, જે તેમની સામાજિક જવાબદારી દર્શાવે છે. નર્સિંગના વિદ્યાર્થીઓ રાષ્ટ્રનું ગૌરવ છે, તેમની સેવા અને સમર્પણ અજોડ છે. નર્સિંગના વિદ્યાર્થીઓ માત્ર દેશનું જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રાષ્ટ્રનું ગૌરવ વધારી રહ્યા છે.નર્સિંગના વિદ્યાર્થીઓની સફળતા પાછળ રહેલા તેમના માતા-પિતાના બલિદાન અને ફાળાને યાદ કરાવ્યો હતો.
