હિન્દ ન્યુઝ, સુરત
સંબંધોમાં વિશ્વાસ અને પ્રેમની અદલાબદલી શંકા અને બંધન સાથે થાય, ત્યારે હર્યાભર્યા પરિવારો વેરવિખેર થઈ જતા હોય છે. સુરતના ‘સખી વન સ્ટોપ સેન્ટરે’ તાજેતરમાં જ એક ૨૦ વર્ષીય દીકરી અને તેના પિતા વચ્ચેના મનભેદ દૂર કરી, તૂટતા સંબંધને ફરીથી મજબૂત બનાવવાનું સંવેદનશીલ કાર્ય કર્યું છે.
પાલ આરટીઓ વિસ્તારમાં રહેતી અને બીસીએ (BCA)નો અભ્યાસ કરતી ૨૦ વર્ષીય અનીષા(નામ બદલ્યું છે) અભ્યાસમાં તેજસ્વી હોવા છતાં માતા-પિતાની અતિશય રોકટોક અને નોકરી ન કરવાના દબાણથી માનસિક રીતે ત્રસ્ત થઈ ગઈ હતી. ભૂતકાળની એક ભૂલને પકડી રાખીને માતા-પિતા દ્વારા થતી હેરાનગતિ એટલી વધી ગઈ હતી કે, પરીક્ષાના દિવસે પિતા ગેટ પર પહેરો ભરતા હોવા છતાં, તક મળતા જ યુવતી પોતાની આઝાદી અને ન્યાય માટે ઉમરા પોલીસ મથકે પહોંચી હતી. જ્યાંથી તેને સુરક્ષિત રીતે ‘સખી વન સ્ટોપ સેન્ટર’ ખાતે આશ્રય માટે મોકલવામાં આવી હતી.
