Dial 112 જનરક્ષક સેવા જનતાની સુરક્ષા અને આપાતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક સહાય માટે પ્રતિબદ્ધ

હિન્દ ન્યુઝ, દાહોદ 

    Dial 112 જનરક્ષક સેવા પિપલોદ ટીમને લીમખેડા રેલવે સ્ટેશન પરથી એક ઇમર્જન્સી કોલ પ્રાપ્ત થતા ટીમે તાત્કાલિક પ્રતિસાદ આપ્યો હતો. સ્થળ પર પહોંચતા કોલરશ્રી રમેશભાઈ ગુલાબભાઈ બારિયા (રેલવે સ્ટાફ) દ્વારા જાણ કરવામાં આવી કે, એક મહિલા તેના બે નાનાં બાળકો સાથે રેલવે ટ્રેક ઉપર વ્યથિત હાલતમાં ઉભી હતી. પોલીસ સ્ટાફે તાત્કાલિક અને સતર્ક રહીને કાર્યવાહી કરીને મહિલાને અને તેના બન્ને બાળકોને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી દૂર કરીને રેલવે સ્ટેશનના સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.

પુછપરછ દરમિયાન મહિલાએ પોતાનું નામ વનિતાબેન (ઉંમર અંદાજે ૩૭ વર્ષ), રહેવાસી પટવાણ, વેડ ફળીયું, લીમખેડા, જીલ્લો દાહોદ જણાવ્યું હતું. તેણીએ જણાવ્યું કે, પતિ સાથેના ઘરેલુ વિવાદને કારણે માનસિક તાણમાં આવીને આ આકસ્મિક પગલું ભરવાનો નિર્ણય લીધો હતો. મહિલાના ભાણિયા ઉમેશભાઈ પરમારનો સંપર્ક કરીને તેમને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. 

મહિલાને અને તેના બાળકોને સુરક્ષિત રીતે તેમના ભાણિયાને સોંપવામાં આવ્યા હતા. તેમજ વધુ કાર્યવાહી માટે લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા. પીપલોદ PCR ટીમ માં HC મનોજ મુનિયા (પિપલોદ), ડ્રાઈવરમાં ભાવસિંગભાઈ (અ.પો. કો., બ.નં. 1150) તેમજ ઇન્ચાર્જ મનોજભાઈ લિમસિંગભાઈ (અ. હે. કો., બ.નં. 692) એ આ સમગ્ર ઘટનાને કવર કરીને માતા સહિત બન્ને બાળકોનો બચાવ કર્યો હતો.

Related posts

Leave a Comment