ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવ કે.કે.નિરાલાના અધ્યક્ષ સ્થાને પીએમ શાળાઓના આચાર્યો સાથે યોજાઈ બેઠક

હિન્દ ન્યુઝ, દાહોદ 

    ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવ કે.કે.નિરાલા દાહોદ જિલ્લા પ્રવાસે આવેલ છે ત્યારે આજરોજ સંયુક્ત સચિવ કે.કે.નિરાલાની અધ્યક્ષતા હેઠળ જિલ્લા સેવા સદન ખાતે દાહોદ જિલ્લાની પીએમ શાળાઓના આચાર્યો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ નિમિતે કલેકટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીના પણ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમ્યાન સંયુક્ત સચિવ કે.કે.નિરાલા એ જણાવ્યું હતું કે, શિક્ષકો બાળકોમાં ઈનપુટ તરીકે જે કાઈ નાખશે એ આઉટપુટ તરીકે બહાર આવશે. દરેક શિક્ષક પોતાના તરફથી બેસ્ટ પરફોર્મ્સ આપે એ ઇચ્છનીય છે. વિદ્યાર્થીઓ છે તો શિક્ષકો છે. બાળકોના અભ્યાસ અંગેના સર્વાંગી વિકાસ માટે થઈને બનતા તમામ પ્રયત્નો શિક્ષક કરે એ મહત્વનું છે. 

વધુમાં જણાવ્યું હતું કે, બાળકોમાં અભ્યાસ અંગે રસ-રૂચી આવે તેઓ સામે ચાલીને પ્રશ્નો પૂછતાં થાય એ તરફ કામગીરી કરવાની છે. તમામ શિક્ષકો પોતાને મળેલ જવાબદારી પૂરી ઈમાનદારીથી નિભાવે અને બાળકોને પોતાના તરફથી કઈ બેસ્ટ આપે તેવા પ્રયાસો કરવાના છે. 

એ સાથે કલેકટર યોગેશ નિરગુડે એ કહ્યું હતું કે, બાળકોની ગુણવત્તામાં સુધારો લાવવા અપેક્ષિત કામગીરી તમામ શિક્ષકોએ કરવી જોઈએ. જો બાળકોના અભ્યાસ અંગે કોઈ પ્રશ્ન કે મુશ્કેલી જણાય તો તરત જ ધ્યાને મુકવું. આ અન્વયે પ્રાયોજના વહીવટદારશ્રી દેવેન્દ્ર મીનાએ પીએમશ્રી શાળાઓ વિશે સમીક્ષા કરી હતી. 

જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાએ ક્લાસરૂમ ઓબ્ઝર્વેશન અંગે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે, આજના સમયને ધ્યાને રાખીને શિક્ષકોએ પણ પોતે શીખતા રહેવું જોઈએ. બાળકો માટે શાળાને મળેલ ગ્રાન્ટનો પણ પુરતો અને સદુપયોગ કરવો એ પણ શાળા સંચાલનનો એક ભાગ છે. શાળાના પ્રશ્નોને ધ્યાને રાખીને ગ્રાન્ટનો ઉપયોગ કરવા સાથે વિદ્યાર્થીઓને અભ્યાસમાં કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ દિશામાં પગલા લેવા જોઈએ. 

આ દરમ્યાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી આરત બારિયાએ પીએમ શાળાઓમાં કરવામાં આવતી કામગીરી અંગે પીપીટી થકી વિગતો રજુ કરી હતી. જેમાં પીએમ શાળાઓના ૬ આધાર સ્તંભો વિશે વિગતવાર માહિતી આપી હતી. જેમાં (૧) અભ્યાસક્રમ, શિક્ષણ શાસ્ત્ર અને મૂલ્યાંકન (૨) માનવ સંસાધન અને શાળા નેતૃત્વ (૩) વ્યવસ્થાપન અને નિયમન (૪) ભૌતિક સુવિધાઓનો ઉપયોગ (૫) સમાવેશી શિક્ષણ અને જાતીય સમાનતા (૬) લાભાર્થીઓને સંતોષ જેવા વિષયો પર વિસ્તાર પૂર્વક સમજાવ્યું હતું.

આ બેઠક દરમ્યાન જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.દામા,જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આરત બારિયા, નિરિક્ષક રાકેશ ભોંકણ, બીઆરસી, સીઆરસી, પીએમ શાળાના આચાર્યઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Related posts

Leave a Comment