હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે કાર્યરત ગુજરાતી વિભાગ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત “વિશ્વ માતૃભાષા મહોત્સવ ૨૦૨૬” નિમિત્તે બે તજજ્ઞના વ્યાખ્યાનો યોજાયા હતાં.
કાર્યક્રમના આરંભે આચાર્ય ડૉ.બી.આર.બોદર સાહેબે સૌને શાબ્દિક આવકાર આપી કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.એન.કે.મકવાણાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં ગુજરાતી ભાષાની સરળતા અને વિશેષતાઓ રજૂ કરી હતી. અતિથિવિશેષ પ્રો.બી.કે.પટેલ સાહેબે માતૃભાષા ગુજરાતીની લાક્ષણિકતાઓ પ્રસ્તુત કરી હતી.
વિષય તજજ્ઞ ડૉ. પીયૂષ પરમાર, આર્ટસ કૉલેજ, ફતેપુરાએ માતૃભાષા વિશે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, “માતૃભાષામાં મધુરતા રહેલી છે. બીજી ભાષાઓ શીખવી જરૂરી છે પણ માતૃભાષાનો મિજાજ જુદો છે. ભાષાઓ પરિવર્તનશીલ છે પણ બદલાતા પ્રવાહમાં મૂળભાષા સાથે જોડાયેલા રહેવું જોઈએ. શબ્દમાં એ શક્તિ રહેલી છે કે, એ વિરાટ સ્વરૂપનું દર્શન કરાવી શકે છે.” જે વિશે તેમણે ગુજરાતી કવિઓની રસપ્રદ પંક્તિઓ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓને સર્જનાત્મક ગુજરાતી સાહિત્યની સાથે સ્થાનિક આદિવાસી સર્જકો દ્વારા સર્જાતા સાહિત્યનો પરિચય, આસ્વાદ લેવા આગ્રહ કર્યો હતો.
બીજા તજજ્ઞ વક્તા ડૉ.નીતિન રાઠોડ, ગુજરાતી વિભાગ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલએ માતૃભાષા વિશે પોતાના વક્તવ્યમાં માતૃભાષા વિશે જણાવ્યું હતું કે, “વર્તમાન સમયમાં માતૃભાષાની અવગણના કરવી આપણને પોષાય તેમ નથી. મા,માતૃભૂમિ અને માતૃભાષા એ સ્વર્ગથી ચઢિયાતી છે.
જીવનમાં આધુનિક બનવાની લ્હાયમાં માતૃભાષા ખોવી નહીં.વર્તમાન સમયમાં બેક ટુ રુટ – મૂળ તરફ પાછા ફરવાની તેમણે જિકર કરી હતી. માતૃભાષા ગુજરાતી બચાવવા બોલીઓ ટેકારૂપ છે. તે સાચવવી જોઈએ.”અંતે તેમણે અનુવાદિત ગુજરાતી ટૂંકીવાર્તા રજૂ કરી વિદ્યાર્થીઓને રસ તરબોળ કર્યા હતા.
આજના કાર્યક્રમમાં વાઈસ પ્રિન્સિપાલ ડૉ.હરેશ કે.પંચાલ, કૉલેજના અધ્યાપકમિત્રો અને 500થી વધુ વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા. સમગ્ર કાર્યક્રમના આયોજનમાં ગુજરાતી વિભાગના અધ્યાપકો ડૉ.કમલેશ આર.ગાયકવાડ, પ્રા.કુલદીપ ભાભોર, પ્રા.જયદીપ ચાવડાએ સહયોગ આપ્યો હતો. વિશ્વ માતૃભાષા મહોત્સવ ઉજવણી કાર્યક્રમનું રસપ્રદ સંચાલન ડૉ.મુકેશપુરી સ્વામીએ કર્યું હતું અને આભારવિધિ ડૉ.ધવલ જોશીએ કરી હતી.
