વલસાડના વાંકલમાં ૪૦ માં મહાશિવરાત્રિ મહોત્સવની ભવ્ય તૈયારી

હિન્દ ન્યુઝ, વલસાડ

       વલસાડ જિલ્લાના વાંકલ ગામે આ વર્ષે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે એક અદ્વિતીય અને અલૌકિક ભક્તિ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. રુદ્રાક્ષ વિશેષજ્ઞ અને વિશ્વવિખ્યાત શિવ કથાકાર પૂજ્ય બટુકભાઈ વ્યાસના સંકલ્પ અને સાનિધ્યમાં આયોજિત “મહાશિવરાત્રિ મહોત્સવ 2026” અંતર્ગત 31 લાખ રુદ્રાક્ષથી તૈયાર થતું 31 ફૂટ ઊંચું વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ પામે છે, જે સમગ્ર વિશ્વમાં ભક્તિ, શ્રદ્ધા અને ગૌરવનું અનોખું પ્રતીક બની રહ્યું છે.

      આ ભવ્ય મહોત્સવ 7 થી 15 ફેબ્રુઆરી 2026 દરમિયાન વલસાડ-ધરમપુર રોડ ઉપર આવેલા વાંકલ પાસે – દુલસાડ ખાતે યોજાશે. શ્રદ્ધાળુઓ રોજ સવારથી સાંજ સુધી વિરાટ રુદ્રાક્ષ શિવલિંગના દર્શન અને અભિષેક કરવાનો દિવ્ય અવસર પ્રાપ્ત કરશે. દરરોજ સવારે 9:00 થી 12:00 કલાકે હોમાત્મક મહારુદ્ર યજ્ઞ, બપોરે 3:00 થી 6:00 દરમિયાન પૂજ્ય બટુકભાઈ વ્યાસના શ્રીમુખે સંગીતમય શિવકથા અને સાંજે 6:30 કલાકે 108 દિવડાની ભવ્ય મહાઆરતી યોજાશે.

આ મહોત્સવ દરમિયાન દુર દુરનાં શ્રદ્ધાળુ શિવભક્તો ઉપસ્થિત થઈ દિવ્ય શિવલિંગની અનુભૂતિ કરશે.

     સાથે જ દિકરી દેવો ભવઃ અંતર્ગત 108 કુમારિકા પૂજન, બ્લડ ડોનેશન કેમ્પ, શિવ મહિમ્નઃ સ્તોત્ર પાઠ, એક શામ શિવ કે નામ ભજન સંધ્યા તેમજ વિવિધ ધાર્મિક અને સેવાભાવી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

    પ્રતિવર્ષની પરંપરા મુજબ આ વર્ષે યોજાતું 40મું મહાશિવરાત્રિ અનુષ્ઠાન આધ્યાત્મિક ઉર્જા અને શ્રદ્ધાનું કેન્દ્ર બનશે. રુદ્રાક્ષ શિવલિંગ પરંપરાના સંશોધક (પેટન્ટ હોલ્ડર) તથા લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં ચાર વખત સ્થાન પ્રાપ્ત કરનાર પૂજ્ય બટુકભાઈ વ્યાસની પ્રેરણાથી દુલસાડ-વાંકલના ગ્રામજનો, સ્થાનિક આગેવાનો અને શિવભક્તો દિવસ-રાત મહેનત કરીને આ ભવ્ય નિર્માણ કાર્યને સાકાર કરી રહ્યા છે.

     પૂજ્ય બટુકભાઈ વ્યાસએ ભાવપૂર્વક જણાવ્યું કે, “ભગવાન શિવજીની કૃપાથી આ વખતે ૪૦ મી વાર ભગવાન શિવજીનું અખંડ અનુષ્ઠાન કરવાનો ધન્ય અવસર મળ્યો છે. આ દિવ્ય સૌભાગ્ય પ્રાપ્ત થવું એ મારા માટે પરમ ધન્ય ઘડી છે.

     વલસાડ-ધરમપુર વચ્ચે આવેલી આ પાવન ભૂમિ પર સતત ત્રીજા વર્ષે યોજાતો આ મહોત્સવ સમગ્ર ગુજરાત માટે ગૌરવ અને ભક્તિનું મહાપર્વ સાબિત થશે.

વલસાડ જીલ્લા બ્યુરોચીફ : મહેશ ટંડેલ

Related posts

Leave a Comment