હિન્દ ન્યુઝ, જામનગર
દેશને ટીબી મુક્ત કરવાના લક્ષ્યાંક સાથે જામનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત શ્રીમતી મોતીબેન ખીમજી રામજી માલદે હાઇસ્કુલ, ચેલા અને ANM FHW ટ્રેનીંગ સ્કુલ, અલીયાબાડા ખાતે ટીબી રોગ અંગે માર્ગદર્શન અને પ્રશ્નોત્તરી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમોમાં નિષ્ણાતો દ્વારા જણાવાયું હતું કે ક્ષય એ માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી થતો ચેપી રોગ છે, જે મુખ્યત્વે ફેફસાંને અસર કરે છે અને હવા દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી કે જો કોઈ વ્યક્તિને બે અઠવાડિયા કે તેથી વધુ સમયથી ખાંસી આવવી, ગળફામાં લોહી પડવું, ભૂખ ન લાગવી, વજન ઘટવો અથવા સાંજના સમયે ઝીણો તાવ આવવો જેવા લક્ષણો જણાય, તો તુરંત નજીકના સરકારી દવાખાને તપાસ કરાવવી જોઈએ. અહીં ટીબીનું નિદાન અને સારવાર સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
વધુમાં, સુપ્ત અને સક્રિય ટીબી વચ્ચેનો તફાવત સમજાવતા જણાવાયું હતું કે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો જેમ કે એચ.આય.વી./એડ્સ, ડાયાબિટીસ, કુપોષણ અથવા કિડનીના રોગોથી પીડાતા દર્દીઓને ટીબી થવાનું જોખમ વધુ રહે છે. આ સાથે જ ધૂમ્રપાન અને માદક દ્રવ્યોના સેવનથી બચવા પણ અપીલ કરવામાં આવી હતી. સરકારની ‘નીક્ષય પોષણ યોજના’ હેઠળ દર્દીઓને મળતી સહાય વિશે પણ વિગતવાર માહિતી અપાઈ હતી.
આ સમગ્ર અભિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુરા પ્રસાદ અને જિલ્લા ક્ષય અધિકારી ડો. પી.કે. સિંઘના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. જેમાં જિલ્લા પી.પી.એમ. કોર્ડીનેટર ચિરાગ પરમારે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમોમાં ડો. ધીરેન પીઠડીયા, સુપરવાઈઝર પંડ્યાભાઈ, ઈરફાન શેખ અને વિજયભાઈએ મહત્વની સેવાઓ આપી હતી. ચેલા હાઇસ્કુલના પ્રિન્સીપાલ આર.કે. આણદાણી તેમજ અલીયાબાળા ટ્રેનીંગ સ્કુલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.જીત નાકર અને નર્સિંગ ટ્યુટર્સના સહયોગથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.અંતમાં યોજાયેલી પ્રશ્નોત્તરીમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ટીબી મુક્ત ભારતના સંકલ્પને ટેકો જાહેર કર્યો હતો.
