હિન્દ ન્યુઝ, વડોદરા
સરદાર@૧૫૦ રાષ્ટ્રીય એકતા પદયાત્રા વડોદરા જિલ્લામાં તેના અંતિમ ચરણમાં પહોંચે તે પૂર્વે પ્રગતિશીલ ગામ મોટા ફોફળીયા ખાતે યોજાયેલી સરદાર ગાથામાં ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, જે કોમો પોતાના પૂર્વજોના ઇતિહાસને યાદ રાખે છે, તે હંમેશા જીવંત રહે છે.
સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના અનેક મહત્ત્વના પાસાઓ પર પ્રકાશ પાડતા, ખાસ કરીને ‘બારડોલીના સરદાર’ તરીકેની તેમની ભૂમિકા પર વિશેષ ચર્ચા રજૂ કરી હતી. તેમણે ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે અહીં બેઠેલા મોટા ભાગના લોકો મૂળ રીતે ખેડૂતો છે, અને તેમના પૂર્વજો પણ ખેડૂત રહ્યા છે.
તેમણે બારડોલી સત્યાગ્રહની પૃષ્ઠભૂમિ સમજાવતા કહ્યું કે, વર્ષ ૧૯૨૮માં અંગ્રેજોનું શાસન હતું, અને ખેડૂતોની હાલત અત્યંત દયનીય હતી. તે સમયે અંગ્રેજોએ ખેતી માટે નહેરો, વીજળી કે રસ્તાની કોઈ વ્યવસ્થા કરી નહોતી, અને વરસાદ ન થવાને કારણે પાક પણ થતો નહોતો. આવી સ્થિતિમાં અંગ્રેજ સરકારે ખેડૂતો પરનો ભૂમિકર સીધો ૩-૪ ટકા થી વધારીને ૨૨ ટકા કરી દીધો હતો, અને કેટલાક ખેડૂતોની જમીન પર તો આ ટેક્સ ૬૦ ટકા સુધી લાદવામાં આવ્યો હતો. જ્યારે ખેડૂતો આ ટેક્સ ચૂકવી શક્યા નહીં, ત્યારે અંગ્રેજોએ તેમના મવેશિયો અને જમીન પણ છીનવી લીધા હતા.
આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, આ મુશ્કેલીના સમયે વલ્લભભાઈ પટેલે આગળ આવીને નેતૃત્વ લીધું હતું. તે સમયે તેઓ એક સફળ વકીલ હતા અને આરામદાયક જીવન જીવી શકતા હતા, પરંતુ તેમણે દેશ સેવા માટે પોતાની વકીલાત છોડી દીધી હતી. તેઓ ખેડૂતો માટે બારડોલીના ગામડે ગામડે ફર્યા હતા. જ્યાં તેમણે દરેક ખેડૂત ભાઈઓ અને બહેનોને એકઠા કર્યા હતા. તેમનો આત્મવિશ્વાસ જાગૃત કર્યો અને તેમને એકતાના સૂત્રમાં બાંધવાનું કામ કર્યું હતું. તેમણે લોકોને સમજાવ્યું કે જો આપણે સંગઠન શક્તિનો પરિચય આપીશું અને બહાદુરી બતાવીશું, તો આપણે આ મોટી તાકાતને પણ ઝુકાવી શકીશું.
સરદાર પટેલની સંગઠન શક્તિના પરિણામે ખેડૂત વર્ગ, અને ખાસ કરીને બહેનો, સત્યાગ્રહમાં મક્કમ રહ્યા હતા. અંગ્રેજોએ ખૂબ ડરાવ્યા અને ધમકાવ્યા, પરંતુ ખેડૂતો ટસથી મસ ન થયા હતા. આ આંદોલનની સફળતા જોઈને બારડોલીની બહેનોએ વલ્લભભાઈને ‘સરદાર’નો ખિતાબ આપ્યો હતો અને તેઓ ત્યારથી ‘સરદાર’ વલ્લભભાઈ પટેલના નામથી જાણીતા થયા હતા. આ વિજયના પરિણામે અંગ્રેજ સરકારને ઝૂકવું પડ્યું હતું. ૨૨ ટકા તથા ૬૦ ટકા કરવામાં આવેલો કર ઘટાડીને માત્ર ૬.૩ ટકા કરવો પડ્યો હતો. આ સફળતા માત્ર ખેડૂતોનો વિજય નહોતો, પરંતુ તેણે આખા દેશમાં મંદ પડી ગયેલા અંગ્રેજો વિરોધી આંદોલનમાં નવો જોશ અને શક્તિ ઊભી કરી હતી.
રાજ્યપાલએ આઝાદી પછીના સરદારના યોગદાનને યાદ કરતા કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલ શાંતિપ્રિય વ્યક્તિત્વ ધરાવતા હતા અને ઈશ્વરે તેમને સંગઠન શક્તિના દેવતા તરીકે ધરતી પર મોકલ્યા હતા. જ્યારે ભારત આઝાદ થયું, ત્યારે તે ૫૬૨ રજવાડાઓમાં વહેંચાયેલું હતું. સરદારે પોતાની મજબૂત ઈચ્છા શક્તિ અને વીરતાના પરિચયથી તમામ રાજા-રજવાડાઓને સમજાવ્યા અને રાષ્ટ્રીય એકતાના સૂત્રમાં બાંધ્યા હતા. તેમણે જુનાગઢ અને હૈદરાબાદના શાસકોને પણ યોગ્ય રીતે સમજાવીને ભારતનું અભિન્ન અંગ બનાવ્યું હતું.
જોકે, આ ૫૬૨ રજવાડાઓમાંથી જમ્મુ-કાશ્મીરનો ઉકેલ લાંબા સમય સુધી આવ્યો નહીં. રાજ્યપાલશ્રીએ ગૌરવ સાથે જણાવ્યું કે, ગુજરાતની ધરતીના બીજા લાલ એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ત્યાંથી કલમ ૩૭૦ હટાવીને સરદારના અખંડ ભારતના મિશનને પૂર્ણ કર્યું છે. તેમણે ઉમેર્યું કે, આજે સરદાર વલ્લભભાઈ પટેલની આત્મા જ્યાં પણ હશે, તે સંતુષ્ટ હશે. અંતે, તેમણે કહ્યું કે વડાપ્રધાનએ સરદાર પટેલને જે સન્માનના હકદાર હતા તે આપ્યું છે. આજે કેવડિયા ખાતે તેમની ૧૮૨ મીટર ઊંચી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતની એકતાના પ્રતીક તરીકે ઊભી છે, જે દેશના ખૂણે ખૂણેથી આવતા લોકોને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે પ્રેરણા આપે છે.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે ગુજરાતની આ પવિત્ર ધરતીએ જે મહાપુરુષને જન્મ આપ્યો, જેમણે પોતાનું સમગ્ર જીવન ‘રાષ્ટ્રાય સ્વાહા’ કરીને જીવ્યું, એવા મહાપુરુષની ૧૫૦મી જન્મજયંતિના પદયાત્રા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવું એ ગૌરવની વાત છે.
આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, ‘સરદાર @ ૧૫૦’ અત્યાર સુધીમાં ૧૧૫ કિલોમીટર પૂર્ણ થઈ ચૂકી છે. આ યાત્રાના પ્રારંભથી જ અનેક લોકો જોડાયા છે. જેમાં અનેક રાજ્યના મુખ્યમંત્રીઓ, કેન્દ્ર સરકારના મંત્રીઓ અને અનેક આગેવાનોએ ભાગ લીધો છે. મંત્રીએ ગુજરાત સરકાર વતી આ બધા લોકોનો આભાર માન્યો હતો અને અભિનંદન પાઠવ્યા હતા. આ યાત્રા આવનારી પેઢી માટે ખૂબ મોટો સંદેશો છે. મંત્રીને અનેક યુવા મિત્રો સાથે વાતચીત કરવાનો પણ અવસર મળ્યો હતો, અને તેમણે આ યુવા મિત્રોનું સહ દિલથી સ્વાગત કર્યું હતું.
મંત્રી નરેશભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરતા જણાવ્યું હતું કે, સરદાર પટેલે ૫૬૨ જેટલી દેશી રિયાસતોને અખંડ ભારતની અંદર એક સૂત્રમાં બાંધીને રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું. તેમના વિચારો, તેમનો ત્યાગ, આજની પેઢી જ નહીં પણ ભવિષ્યની પેઢી પણ ભૂલી શકવાની નથી. તેમણે ઉમેર્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલના એક ભારતનું સપનું લઈને ચાલવાની પ્રેરણાથી જ આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી શ્રેષ્ઠ ભારતનું સપનું લઈને ચાલી રહ્યા છે, જેમાં આપણે સૌ જોડાઈ રહ્યા છીએ. મંત્રીશ્રીએ નવી પેઢીને આહ્વાન કરતા કહ્યું હતું કે આપણે સૌએ આમાંથી પ્રેરણા લઈને દેશને આત્મનિર્ભર ભારત બનાવવામાં સહભાગી થવાનું છે. તેમણે દેશની આર્થિક પ્રગતિ વિશે વાત કરતા જણાવ્યું હતું કે ભારત આજે ઇકોનોમીની દ્રષ્ટિએ પૂરા વિશ્વની અંદર ચોથા ક્રમે છે અને ટૂંકા સમયમાં ત્રીજા સ્થાને પહોંચવાની તૈયારીમાં છે, જેનો ખૂબ મોટો ફાયદો આવનારી પેઢીને થવાનો છે. અંતે, મંત્રીશ્રીએ સવારથી મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયેલા લોકોનો ઉત્સાહ અને ઉમંગ જોઈને સરકાર વતી સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમ પૂર્વે રાજ્યપાલ કાયમી પદયાત્રીઓ સાથે રાષ્ટ્રીય પદયાત્રામાં સહભાગી બન્યા હતા. તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સરદાર ગાથા દરમિયાન ગામના તેજસ્વી લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આભાર વિધિ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે કરી હતી.
આ વેળાએ રાજ્ય મંત્રી પી. સી. બરંડા, પૂર્વ મંત્રી વલ્લભભાઈ કથિરીયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બ્રીજેશભાઈ મેરજા, ઈફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણી, કલેકટર ડો. અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હીરપરા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
